PM નરેન્દ્ર મોદીએ આગામી G-20નું પ્રમુખપદ બ્રાઝિલ સોંપ્યું
Live TV
-
નવી દિલ્હીમાં 18મી જી-20 સમિટ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. ભારતે G-20નું પ્રમુખપદ બ્રાઝિલને સોંપ્યું છે. સમાપન સમારોહમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઔપચારિક રીતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા દા સિલ્વાને G-20 ના પ્રમુખપદનું પ્રતીક હથોડી સોંપી હતી. આ અવસરે નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બ્રાઝિલની અધ્યક્ષતામાં G-20 લક્ષ્યો હાંસલ કરવામાં સક્ષમ બનશે. તેમણે એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે સમિટમાં નિર્ણય લેવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા કરવા માટે નવેમ્બરના અંતમાં જૂથનું વર્ચ્યુઅલ સત્ર યોજવામાં આવે.
G-20 ના પ્રમુખપદનું પ્રતીક સ્વીકાર્યા બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે લાખો લોકો ભૂખમરાથી પીડાય છે ત્યારે વર્તમાન વિશ્વમાં સંપત્તિ હજુ પણ વધુ કેન્દ્ર સ્થાને છે, તેમણે આવક, આરોગ્ય, શિક્ષણ, ખોરાક અને લિંગ અસમાનતા જેવા અસમાનતાના મુદ્દાઓનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભાવિ થીમ પર G-20 સમિટના બીજા અને છેલ્લા દિવસે ત્રીજા સત્રની અધ્યક્ષતા કરી હતી. ભારતના G-20 અધ્યક્ષ પદ માટેના મુખ્ય સંયોજક, હર્ષવર્ધન શ્રીગલાએ કહ્યું કે સમિટ દરમિયાન G-20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ અને નવી દિલ્હી ઘોષણાનો સ્વીકાર એ ભારત માટે એક મોટી સિદ્ધિ છે.
સમિટના પ્રથમ દિવસે, G-20 સભ્ય દેશોએ સર્વસંમતિથી નવી દિલ્હી ઘોષણાનો સ્વીકાર કર્યો. આને ભારતની G-20 અધ્યક્ષતા માટે મહત્વની જીત માનવામાં આવી રહી છે. દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ આજે સવારે અક્ષરધામ મંદિરમાં જઈને પ્રાર્થના કરી હતી. યુએસ પ્રમુખ જો બિડેન સમિટમાં ભાગ લીધા બાદ વિયેતનામ જવા રવાના થયા હતા.
