એક ભારત શ્રેષ્ઠ ભારતઃ છત્તીસગઢના સિરપુરના મંદિરોનો અનોખો ઈતિહાસ
Live TV
-
એક ભારત શ્રેષ્ઠ ભારતમાં આજે વાત કરીશું છત્તીસગઢની પ્રાચીન નગરી સિરપુરની.
છત્તીસગઢની રાજધાની રાયપુરથી 63 કિ.મી.ના અંતરે મહાસમંદ જિલ્લાના સિરપુરનું પ્રાચીન નામ શ્રીપુર છે. દક્ષિણ કૌશલનું તે પાટનગર હતું. છત્તીસગઢના પ્રાચીન દક્ષિણ કૌશલ પ્રદેશમાં મહાનદી તટે વસેલા સિરપુર ખાતે પ્રાચીન લક્ષ્મણ મંદિર આવેલું છે. ગર્ભગૃહમાં નાગરાજ અનંત શેષની સૌમ્ય પ્રતિમા છે. સોમવશી રાજા હર્ષગુપ્તના પત્ની રાણી વસાટાદેવીએ તે મંદિર રચના ઇસ્વીસન 650માં કરાવી હતી.
પુરાતત્વવિદ અરૃણ શર્માના જણાવ્યા મુજબ લાલ ઇંટમાંથી નિર્મીત ભારતનું આ સૌથી પ્રાચીન મંદિર છે. ખનનકાર્ય વખતે અહીં શિવમંદિરો પણ મળી આવ્યા છે. સિરપુર એક સમયે શૈવ સંપ્રદાયનું પણ સ્થાન હતું. પ્રાચીન ગંધેશ્વર મહાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે.
પુરાતત્વ વિભાગના ખોદકાક દરમિયાન અહીં સિરપુર ખાતે બૌદ્ધ સ્થાપત્યો પણ મળી આવ્યા છે. તીવર દેવ બૌદ્ધ વિહાર 902 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલો છે. 16 અલંકૃત સ્તંભ ધરાવતો મંડપ પણ આવેલો છે. બૌદ્ધ શિક્ષણનું આ મુખ્ય કેન્દ્ર હતું.
ઉત્તરમુખી વિશાળ બૌદ્ધ વિહારના અવશેષો પણ મળી આવ્યા છે. અહીં બૌદ્ધ અનુયાયીઓ મુલાકાત લેતા રહે છે. બૌદ્ધ ગુરૃ દલાઇ લામા પણ આ સ્થાનની મુલાકાત લઇ ચુક્યા છે. ખોદકામ દરમિયાન મોટા બજારના અવશેષો પણ મળી આવ્યા છે. બજાર 1 કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું હોવાનું જોવા મળે છે. બજારમાં અનાજ ભંડારો હોવાનું મનાય છે. નદીમાર્ગે દેશ વિદેશના લોકો અહીં વેપાર માટે પણ આવતા હતા.