અમદાવાદના જૂના વાડજમાં ક્રાફ્ટ ટુરીઝમ વિલેજ ખાતે હસ્ત શિલ્પ કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન યોજાયું
Live TV
-
વસ્ત્ર અને પરિધાન એ વ્યક્તિના વ્યક્તિત્વને વિશેષ ઓપ આપે છે. આ પરિધાન જયારે હાથશાળ કે હસ્તકલા દ્વારા બનાવવામાં આવે છે ત્યારે તેને બનાવતા કારીગરોની મહેનત અને કળા તેને ખાસ પ્રકારની વિશેષતાઓ સાથે બજારમાં મુકે છે. આવા સુંદર વસ્ત્રોને રંગ, રૂપ અને વિવિધ ભાત કે ગૂંથણી દ્વારા સજાવટ કરતાં હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કરવાં અને તેમની સમસ્યાઓને વાચા આપવા ખાસ આયોજન કરવામાં આવ્યું.
ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા હસ્ત શિલ્પ અને હેન્ડીક્રાફ્ટના કારીગરો માટે અનેક યોજનાઓ છે. જેનો લાભ તેઓને મળી રહ્યો છે. તેના અંતર્ગત અમદાવાદમાં રવિવારે જૂના વાડજમાં ક્રાફ્ટ ટુરીઝમ વિલેજ ખાતે ભારત સરકારના વિકાસ આયુક્ત હસ્તશિલ્પ કાર્યાલય દ્વારા હસ્ત શિલ્પના કારીગરો દ્વારા ઉત્પાદન કરાયેલી વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય વસ્ત્ર અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે કહ્યું હતું કે, વાડજમાં મોટી સંખ્યામાં હસ્તશિલ્પના કારીગરો પોતાના ઘરમાં જ જુદીજુદી વસ્તુઓ બનાવી રહ્યા છે. મોટાભાગના લોકો સિંધ અને પાકિસ્તાનમાંથી આવીને અહીં વસ્યા છે અને રોજગારી મેળવી રહ્યા છે.
આજીવિકાના રૂપમાં તેઓ પેચ વર્ક ,એપ્લિક, ભરતગૂંથણ ,વોલ પેઈન્ટિંગ, મડ મિરર વર્ક, ચામડાની વસ્તુઓ તેમજ જૂના કપડાંમાંથી સુંદર રજાઈ બનાવવાનું કામ પણ આ કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી દર્શના જરદોશે આ કારીગરો સાથે સંવાદ કર્યો હતો અને તેમને પડતી મુશ્કેલીઓ, સમસ્યાઓ અંગેની જાણકારી પણ મેળવી હતી. આ સાથે જ તેમને સરકારની યોજનાઓના વિવિધ લાભ મળી રહે તે માટે યોજનાઓની જાણકારી પણ આપી હતી. હસ્ત શિલ્પના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓના પ્રદર્શન અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
