ગીર સોમનાથના સૌથી મોટા શિંગોડા ડેમમાંથી 16 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડાયું
Live TV
-
ગીર જંગલની મધ્યમાં આવેલ ગીર સોમનાથના સૌથી મોટા શિંગોડા ડેમમાંથી 16 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડાયું તો જિલ્લાના બાકી ડેમોમાંથી 70 જેટલા ગામોના ખેડૂતોને પિયત માટે પાણી છોડાયું. ગીરના ખેડૂતોને ઉનાળું પાક લેવામાં થશે ફાયદો.
ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય પંથકના ખેડૂતોનાં ખેતરો ઉનાળું પાક માટે તૈયાર થઈ ચૂક્યા છે. જેમાં તલ, અડદ, મગ બાજરી, શેરડીનું વાવેતર છે. આ પાક માટે જરૂરી પાણી શિંગોડા ડેમમાંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે. શિંગોડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં 125 ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે. આ કેનાલ દ્વારા ખેડૂતોના ખેતરોમાં પાક પાણી પી રહ્યાં છે. અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. શિંગોડા ડેમની બ્રાન્ચ કેનાલમાંથી જે 16 ગામના ખેડૂતોને પાણી મળી રહ્યું છે તે ગામોને જો સિંચાઈ માટે પાણી ન મળે તો જમીન બિનફળદ્રુપ બની જાય તેવી પરિસ્થિતિ હતી. પરંતુ, પાણી મળવાથી ખેડૂતોની જમીન ફળદ્રુપ બની છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ તો એવી છે કે 10 પૈકી 4 ગામોના તળમાં તો પાણી જ નથી. ત્યારે આ કેનાલ ખેડૂતોની જીવાદોરી બની છે. આથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
એક તરફ ઉનાળા એ પોતાનું આકરું સ્વરૂપ ધારણ કર્યું છે. અને ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પાણી માટે પોકાર છૂટી રહ્યા છે. જયારે આમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસુ સરેરાશ હોવાને લઈ કુવાઓનાં તળ ઊંડા ગયા છે. ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગોડા સિંચાઈ યોજનામાંથી ઉનાળું પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ તેમજ ખેડૂતોની સાથે પરામર્શમાં કરી આવશ્યકતા મુજબ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ શિંગોડા ડેમમાંથી કુલ 16 ગામોના ખેડૂતોની 1200 હેકટર જમીનને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે.
ગીર જંગલમાં આવેલા ડેમની પાણીની કેપેસીટની 18.80 મીટર જેટલી છે. જ્યારે હાલ ડેમમાં કુલ 50 ટકા જેટલો જથ્થો છે. જેમાંથી ડેમ ગીર જંગલની મધ્યમાં હોવાથી વન્ય જીવો જેવા કે સિંહ, દીપડા, હરણ, સાબર સહિત નાના મોટા વન્ય પ્રાણીઓ માટે 100 mcft પાણીનો જથ્થો રિઝર્વ રાખ્યા બાદ 24 ગામના લોકોને પીવા અને 16 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે. જયારે ગીરમાં કુલ પાંચ ડેમો આવેલા છે. જે તમામમાંથી ગીરમાં 70 જેટલા ગામોના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. જેમાં શિયાળુ 5 અને ઉનાળુ 3 પાણી સહિત ઉનાળાના આખરી સમયે કોરવાણ માટે પણ પાણી આપવામાં આવે છે.
