અમદાવાદ : કિચન ગાર્ડન અંગે બાગાયત નિયામક્શ્રીની કચેરીનો વેબિનાર યોજાયો
Live TV
-
શહેરીજનોની જરુરિયાત કિચન ગાર્ડન ઘરઆંગણે ખેતી
આજકાલ વધતાં જતાં શહેરોમા ગીચ વસતીવાળા રહેઠાણો,રાસાયણિક દવાઓના વધુ પડતા છંટકાવથી ઉગેલી શાકભાજી તથા ઔદ્યોગિકરણના વધવાના કારણે પ્રદુષણ સહિત અનેક ગંભીર પ્રશ્નો માનવજાત માટે તંદુરસ્તી જોખમાય એ રીતે ઉપસ્થિત થયા છે. આવા સંજોગોમાં શક્ય તેટલા વધુ વિસ્તારમાં શોભાના ફુલછોડ, શાકભાજી કે ફળ,ઝાડ અને જંગલી વૃક્ષો વાવવાથી ઉપરોક્ત પરિસ્થિતિમાંથી રાહત મેળવી શકાય છે.
કિચન ગાર્ડનનો વિચાર ૧૬ મી સદીમાં પ્રસ્તુત થયો હતો.તે વખતનાં વિચારક ચાર્લ્સ એસ્ટિને ‘મૈસોન રુસ્ટિક’માં આ વિશે વિગતવાર લખ્યુ હતું કે આ એક એવો બગીચો છે જે રહેણાંક અને અન્ય બગીચાઓ કરતા ખુબ અલગ છે. જેને શાકભાજીનો બગીચો પણ કહી શકાય. દૈનિક જીવનમાં પરંપરાગત ખોરાકની ગુણવત્તા વધે એ હેતુથી હવે લોકો ઘરઆંગણે જ શાકભાજીની આ નવી ખેતીને અપનાવવા લાગ્યા છે. ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે છે. તેને ઘર આંગણાની ખેતી (કિચન ગાર્ડનીંગ) કહેવાય છે. તેના થકી શુધ્ધ,તાજું અને મનપસંદ શાક મળી રહે છે.
રાજ્યમાં દરેક જિલ્લાઓમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીઓ આવેલી છે, જ્યાથી કિચન ગાર્ડંન યોજના વિશે માહિતી મેળવી શકાય છે, તદઉપરાંત નવીન કિચન ગાર્ડનની સ્થાપના માટે સ્થળ ઉપર તાંત્રિક માર્ગદર્શન તથા શાકભાજી બિયારણો તથા જરૂરી ખાતરોના પેકેટો તૈયાર કરી નહિ નફો નહિ ખોટના ધોરણે પ્રજાજનોને વેચાણ કરવામાં આવે છે. અમદાવાદ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં આ બિયારણ લેવા આવતા લોકો સાથે સંપર્કમાં રહી શકાય અને તેઓને સમયાંતરે માર્ગદર્શન આપી શકાય તે હેતુથી એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેથી કચેરી દ્વારા નવીનતમ માહિતીની આપલે કરી શાય તથા ગાર્ડનિંગમાં રસ ધરાવતા લોકો પણ તેમને પડતી મુશ્કેલીઓ અહી કહી શકે છે. જેના ભાગરુપે આજ રોજ કિચન ગાર્ડન અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શહેરના લોકો હોશભેર જોડાયા હતા.
‘’તંદુરસ્તી જાળવવાનો મહત્વનો સ્ત્રોત એટલે આહાર. તેમ વેબિનારમાં જણાવતા નાયબ બાગાયત નિયામક શ્રી જે.આર.પટેલે વધુમાં જણાવ્યુ કે કિચન ગાર્ડન દ્વારા ઘર આંગણે નાનાપાયે પણ ખેતી થવાથી નવીન જનરેશનને શાકભાજી અને ખેતીનું તથા શ્રમદાનનું મહત્વ સમજાશે તથા અન્નનો બગાડ થતો કેમ અટકાવવો તેનો ખ્યાલ આવશે. દવાઓના ઉપયોગ વિના મળતા શાકભાજી તંદુરસ્ત અને લાંબા આયુષ્ય માટે લાભકારી છે.’’ વેબિનારમાં મદદનીશ નિયામકશ્રી જે.જે.પરમાર, શ્રી કમલેશભાઇ પટેલ,દિપાલીબેન પટેલ ઉપસ્થિત રહીને કિચન ગાર્ડન અંગે વિગતવાર માહિતી પુરી પાડી હતી.
