અરવલ્લી: મેઘરજનાં અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતોએ સ્વખર્ચે બનાવી ત્રણ ખેત તલાવડી
Live TV
-
અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇની સમસ્યા વર્તાતી હોય છે. ખેડૂતોએ સિંચાઇ કરવા માટે મોટાભાગે વરુણ દેવની કૃપા પર જ નિર્ભર રહેવું પડતુ હોય છે, પરંતુ મેઘરજના શાંતિપુરા ગામના ખેડૂતોએ સિંચાઇ માટે નવો પ્રયાસ શરુ કર્યો છે. અહીં ખેડૂતો એ પોતાના જ સ્વખર્ચે ત્રણ તળાવ બનાવ્યા છે.
મેઘરજ વિસ્તારના અનેક ગામડાના ખેડૂતો સિંચાઇ વ્યવસ્થા અપૂરતી ધરાવે છે. વિસ્તારમાં ખેડતોને અહીં સિંચાઇ માટે ખાસ કોઇ સુવિધા ઉપલબ્ધ નથી. અને જે ઉપલબ્ધ છે તે મદદરુપ નથી. આથી ખેડૂતોએ પોતોના ખેતરમાં જાતે જ તળાવ નિર્માણ કર્યા છે. થોડાક ખેડૂતોએ ભેગા મળીને ત્રણ તળાવ નિર્માણ કર્યા છે. જે નિર્માણ કરવા માટે પ્રતિ તળાવ દીઠ બારેક લાખ રુપિયા ખર્ચ થયો છે. એક તળાવ દીઠ સવા થી દોઢ કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.
ચોમાસા દરમ્યાન ભૂગર્ભ જળ ઉંચા આવતા એ સમયે આ તલાવડીને ભરવામાં આવશે. સાથે જ વરસાદ સારો વરસે તો વરસાદી પાણી પણ તળાવમાં ઉમેરાશે. આમ તળાવ ભરાય તો આસપાસના 70 થી 80 વિઘા જમીનને સિંચાઇની રાહત મળશે. શાંતિપુરાના ખેડૂતોએ કરેલા નવતર પ્રયોગને હવે ખેતીવાડી વિભાગને પણ પસંદ પડ્યો છે. વિસ્તારના ખેડૂતો ઉપરાંત ખેતીવાડીના અધિકારીઓ પણ ખેત તલાવડીને જોવા અને સમજવા માટે અહીં આવતા હોય છે. તો આ વિસ્તારના ખેડૂતોએ સિંચાઇ માટે પાણીની અછતમાં તેની કિંમત સમજી છે. તેઓએ 100 ટકા ડ્રીપ ઇરીગેશન વડે ખેતી કરે છે.
