આણંદના યુવાન ખેડૂત વિમલ પટેલ જળબ્રાહ્મીની ખેતીથી કરી રહ્યો છે સારી કમાણી
Live TV
-
ઋષીમુનિઓ દ્વારા સંશોધિત કુદરતી ઔષધો થકી શરીરને તંદુરસ્ત રાખવાના અનેક ઉપચારોનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે
મનુષ્યની તમામ શારીરિક તથા માનસિક બીમારીઓનો મૂળમાંથી ઈલાજ કરતી પરંપરાગત ઔષધિય સારવાર એટલે આયુર્વેદ. ભારત દેશમાં પ્રાચીનકાળથી રોગોની સારવારમાં આયુર્વેદને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ઋષીમુનિઓ દ્વારા સંશોધિત કુદરતી ઔષધો થકી શરીરને તંદુરસ્ત રાખવાના અનેક ઉપચારોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી એવી આયુર્વેદિક ઔષધિઓની ખેતી કરવા માટે ખેડૂતોને તાલીમ મળે તે માટે અનેક સંશોધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. એવી જ રીતે આણંદ જિલ્લાના ઈસણાવ ગામના યુવાન ખેડૂત વિમલ પટેલ દ્વારા પારંપરિક ખેતીથી કંઇક અલગ કરવાના પ્રયાસરૂપે જળબ્રાહ્મીની ખેતી કરવામાં આવી રહી છે. રૂઢિગત ખેતી કરતા વધુ ફાયદો આપતી આ ઔષધીય ખેતી માં ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવામાં આવી છે. એક એકર જમીનમાં છેલ્લા 4 વર્ષથી આયુર્વેદિક ઔષધિ જળબ્રાહ્મીની ખેતી કરવામાં આવી રહી છે, જેનાથી તેમને સારો એવો આર્થિક ફાયદો મળ્યો છે. સામાન્ય રીતે આણંદના ખેડૂતો ડાંગર, ઘઉં અને કેળા જેવા પાકોની રૂઢિગત ખેતી કરતા હોય છે. જેની સરખામણીમાં વિમલભાઈને ઔષધિય પાક બ્રાહ્મીની ખેતીમાં ઓછા ખર્ચે સારી ઉપજ મળે છે અને પારંપરિક ખેતી કરતા ખૂબ જ સારો આર્થિક ફાયદો થાય છે.
