કળા ક્ષેત્રે કચ્છની વધુ એક સિદ્ધિ, લાલજી જોષીની ચિત્રકૃતિને એનાયત થશે આંતર રાષ્ટ્રીય પુરસ્કાર
Live TV
-
કચ્છના કલાકારો અવાર નવાર રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી રહ્યા છે. આવી જ રીતે કચ્છના એક ચિત્રકારે આંતર રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત કરી ફરી એક વાર કચ્છનું નામ ગૂંજતું કર્યું છે. ભુજના જાણીતા ચિત્રકાર લાલજી એન જોષીની ચિત્રકૃતિને ડિસેમ્બર 2021માં કાઠમંડુ - નેપાળ ખાતે બેસ્ટ વોટર કલર એવોર્ડ એનાયત કરવામાં આવશે.
કાઠમંડુ નેપાળમાં ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી નેપાળ અને આર્ટ્સ મેટ ઇન્ટરનેશનલ વિથ એન બી ગુરુગ આર્ટ સ્ટુડિયો નેપાળ દ્વારા ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 47 દેશની 304 એન્ટ્રીની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારતની 49 અને ગુજરાતની ફકત 1 એન્ટ્રીની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભુજના ચિત્રકાર લાલજી જોષીની ચિત્રકૃતિની પસંદગી કરવામાં આવી જે ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ વાત છે.
ભુજના ચિત્રકાર લાલજી જોષીએ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં યોજાયેલ આ સ્પર્ધામાં 'આહીર' નામની ચિત્રકૃતિને ઓનલાઇન સ્પર્ધામાં મોકલી હતી.જેનું પરિણામ 7 નવેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભુજના ચિત્રકાર લાલજી જોષીની આહીર ચિત્રકૃતિને ડેનિયલ સ્મિથ વોટર કલર બેસ્ટ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આગામી 10 થી 30 ડિસેમ્બર 2021માં કાઠમંડુ નેપાળમાં ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર એક્ઝિબિશન યોજવામાં આવશે અને ભુજના ચિત્રકાર લાલજી જોષીને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
ચિત્રકાર લાલજી જોષી છેલ્લાં 25 વર્ષોથી ચિત્રકામ કરી રહ્યા છે. લાલજી જોષી પેન્સિલ સ્કેચિંગ, એક્રેલિક પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ, સ્ટોન કારવિંગ વગેરે પ્રકારની પેઇન્ટિંગ કરે છે. મુખ્યત્વે લાલજી જોષી કચ્છની સંસ્કૃતિ, કચ્છી પહેરવેશ અને ખાસ કરીને આહીર સમાજના મેળા ભરાતા હોય છે ત્યારના તથા સ્થાપત્ય અને પ્રાચીન મૂર્તિઓના ચિત્ર મોટેભાગે બનાવે છે.
