ઘોઘા-હજીરા રોરો ફેરી સર્વિસ ફરી કાર્યરત થઈ
Live TV
-
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ભાવનગરની ઘોઘા-હજીરા રોરો ફેરી સર્વીસ હવે પુન:કાર્યરત થઈ છે. દિવાળીના તહેવારો અને વેકેશન હોવાને લઈ મુસાફરો રોરો ફેરી સર્વીસનો આનંદ માણી શકશે અને માલ પરિવહન માટે પણ હવે વધુ સરળતા રહેશે. ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા સુધી દરિયાઈ માર્ગ પર ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી અને જેને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. રોરો ફેરી સર્વિસના કારણે ભાવનગરથી સુરત વચ્ચેનું અંતર ઘટ્યું છે જેના કારણે ભારે માલવાહક ટ્રકો સહિત અન્ય વાહનચાલકોને તેનો લાભ મળ્યો છે. 24 જુલાઈએ રોરો ફેરી સર્વિસને વાર્ષિક મેઈન્ટેઈનન્સ માટે મોકલી દેવાઈ હતી. અઢી મહિના જેટલો લાંબો સમય આ સેવા બંધ થઈ હતી. હવે આ સેવા ફરી કાર્યરત થતા દરિયામાર્ગે મુસાફરી કરવાનું ઈચ્છતા પ્રવાસીઓમાં ખુશીજોવા મળી રહી છે તો ફરી વાહનચાલકો આ સેવાનો લાભ મળ્યો છે. સુરતના હજીરાથી રોપેક્સ ફેરીની પ્રથમ ટ્રીપ સવારે 8 કલાકે રવાના થઈ હતી અને ઘોઘા ખાતે બપોરે 12.30 કલાકે પહોંચી હતી. ત્યારબાદ બપોરે 3 કલાકે રોપેક્સ ફેરી ઘોઘાથી હજીરા જવા રવાના થઈ હતી. આ રોરો રોપેક્સ ફેરીમાં 44 કાર્ગો, 15 સ્કુટર અને 120થી વધુ મુસાફરો હજીરા જવા રવાના થયા હતા. રોરો ફેરીમાં સવારી કરવા માટે ઓફલાઈનની સાથે ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી મહિનાથી નવું જહાજ ફેરી સર્વિસમાં જોડાશે. અન્ય જહાજ મેઈન્ટેઈનન્સમાં હશે તો બીજુ જહાજ લોકોની સવલિયત માટે કાર્યરત રહેશે.
