જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બન્યું સુખનું સરનામું
Live TV
-
માનસિક રીતે અસ્વસ્થ દિવ્યાંગ મહિલાઓ માટે બાયડનું જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બન્યું સુખનું સરનામું
માનસિક રીતે અસ્વસ્થ દિવ્યાંગ મહિલાઓ માટે બાયડનું જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બન્યું સુખનું સરનામું.આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈને 135 માનસિક અસ્વસ્થ મહિલાઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ઉપાડ્યું બીડું.રાજ્ય તથા આંતરરાજ્યની કુલ 117 જેટલી મહિલાઓને પરિવાર સાથે કરાયું મિલન.
અરવલ્લીના બાયડ ખાતે આવેલું છે જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ...અહીં છેલ્લા ત્રણ વર્ષથી દિવ્યાંગ અને માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓની નિસ્વાર્થપણે સેવા કરવાનું બીડું અશોકભાઈ જૈને ઉપાડ્યું છે...આશ્રમ શરૂ કરવા પાછળનું કારણ પણ ખૂબ જ હ્રદયસ્પર્શી છે. વર્ષો પહેલા બાયડ બસ સ્ટેન્ડ નજીક અસ્થિર મગજની કોઈ મહિલા ઉપર ટોળું ક્રુર બની પથ્થર વરસાવી રહ્યું હતું. આ ટોળાનો કોલાહલ સાંભળી બસ સ્ટેન્ડ પાસે કટલરીની દુકાન ધરાવતા અશોકભાઈ જૈન ત્યાં દોડી ગયા, તેઓ ટોળાને વિખેર્યું અને મહિલાની સારવાર કરાવી....બસ, ત્યારથી જ અશોકભાઈ જૈન તેમજ તેમના મિત્રોએ આવી મહિલાઓની સેવા કરવાનું ભગીરથ કામ ઉપાડી લીધું.
આજે 135 જેટલી મહિલાઓની જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા દ્વારા સેવા કરાઈ રહી છે. અરવલ્લી અને આસપાસના જિલ્લાઓમાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા મળી આવતી માનસિક રીતે અસ્થિર, બિનવારસી મહિલાઓને અહીં રાખવામાં આવે છે. સાથે જ આ તમામ મહિલાઓના સ્વાસ્થ્યની ચકાસણી માટે અમદાવાદ તેમજ આસપાસના ડોક્ટરની ટીમ દ્વારા અવિરત સેવાઓ અપાઈ રહી છે. એટલું જ નહીં કોઇ મહિલાને મોટી બિમારી હોય તો ડોક્ટરની ટીમ દ્વારા નિશુલ્ક સફળ ઓપરેશન પણ કરાયા છે. તો આ સાથે રાજ્ય તથા આંતરરાજ્યની કુલ 117 જેટલી મહિલાઓને તેમના પરિવાર સાથે મિલન પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. પરિવાર સાથે મિલન થતાં કેટલાય પરિવારો હરખના આંસુથી ખીલી ઉઠ્યા છે.
એકવાર અહીં સ્વસ્થ થયા પછી કેટલીકવાર તો મહિલાઓ અહીથી જવાનું વિચારતા જ નથી. જ્યારે આ આશ્રમથી વિખુટા પડે છે, ત્યારે મહિલાઓના આંખોમાં આંસુ જોવા મળતા હોય છે. અને કેટલીક મહિલાઓ તો હવે અહીં જ સેવા કરવાનું નક્કી કરી લે છે.
બાયડના જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં દેશના વિવિધ રાજ્યની મહિલાઓ છે. દરેકની ભાષા અલગ છે, અને માનસિક રીતે અસ્થિર...પણ આવા સમયમાંથી મહિલાઓના જલદી સ્વસ્થ થવાના પ્રયાસો સાથે સંસ્થાના આગેવાનો અહીંની તમામ મહિલાઓના જીવનમાં પ્રકાશ પાથરવાનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે.
