દિન વિશેષ: ગીતા જયંતિ, જાણો ગીતા જયંતિનું મહત્વ
Live TV
-
હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ માગશર શુક્લ અગિયારસના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણે કરી હતી. ગીતાની ઉત્પતિના આ દિવસને ગીતા જ્યંતી તરીકે મનાવવામાં આવે છે. ગીતા જયંતીના આ દિવસને મોક્ષદા એકાદશી પણ કહેવાય છે.
મહર્ષિ વેદવ્યાસ રચિત ભારતીય સંસ્કૃતિના જ્ઞાનકોશ સમાન મહાભારતમાં કુલ ૧૮ પર્વ છે. તેના છઠ્ઠા પર્વમાં એટલે કે ભીષ્મ પર્વમાં ૨૫ થી ૪૨ સુધીના ૧૮ અધ્યાય ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ તરીકે ઓળખવામાં આવે છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયો અને ૭૦૦ શ્લોક છે. આખી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ ૫૭૪ શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે, જ્યારે અર્જુને ૮૫ શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે. તો વળી ૪૧ શ્લોક એવા પણ છે જેમાં સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે. આ ૧૮ અધ્યાયને ત્રણ ભાગમાં વિભાજિત કરીએ તો પ્રથમ છ, ‘જ્ઞાનયોગ’, બીજા છ એ ‘ભક્તિયોગ’ અને અંતિમ છ અધ્યાય ‘કર્મયોગ’ તરીકે જાણીતા છે. આશરે 5 હજાર વર્ષ પહેલાં ગીતાનું સર્જન થયેલું છે. ગીતાનું 100થી વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે. આજે અમદાવાદમાં આવેલ પરમધામ ચિન્મય મિશન ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીતાના દરેક શ્લોક પર આહુતિ આપવામાં આવી હતી.
