દિન વિશેષ: હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની આજે પુણ્યતિથિ
Live TV
-
દરેક દિવસ પોતાના સાથે એક ઇતિહાસ લઇને આવ્યો છે, ત્યારે આજનો દિવસ એટલે કે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની આજે પુણ્યતિથિ. ઉત્તર પ્રદેશના ઇલાહાબાદમાં જન્મેલા હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદ સાથે ભારતીય હોકી ટીમનો એક સ્વર્ણીમ યુગ રહેલો છે. મેજર ધ્યાનચંદ એટલે ઑલિમ્પિકમાં ભારતને ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ અપાવનારી એક માત્ર પ્રતિભા. ભલે ગોલ્ડ ટીમને મળ્યો હતો તેમને વ્યક્તિગત નહોતો મળ્યો પણ તેમની વ્યક્તિગત રમત એટલી અજાયબ કે 1928 થી 1936ના એ વર્ષોમાં તેમણે ઑલિમ્પિકમાં જે ઈતિહાસ લખ્યો તે તેમના વિના સંભવ નહોતો.
29 ઑગસ્ટ, 1905 ના રોજ તેમનો જન્મ, જે હવે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવાય છે. અલ્લાહાબાદમાં જન્મેલા આ જાદુગરનું મૂળ નામ ધ્યાનસિંઘ. 16 વર્ષની ઉંમરે તેના પ્રાથમિક શિક્ષણ પછી તેઓ આર્મીમાં ભરતી થયા. ત્યાં સુધી તેને હોકીમાં કોઈ રસ નહોતો. જ્યારે ધ્યાનચંદ રેજિમેન્ટના સુબેદાર મેજર તિવારીને મળ્યા ત્યારે તેમનામાં હોકી પ્રત્યેનો રસ જાગૃત થયો. તેને હોકી રમવા માટે પ્રેરિત કરવાનો શ્રેય મેજર તિવારીને જાય છે. ધ્યાનચંદની ગોલ કરવાની ઝડપ જોઇને ઓસ્ટ્રેલિયાના મહાનક્રિકેટર ડોન બ્રેડમેને કહયુ હતું કે, ધ્યાનચંદ ક્રિકેટર રન કરે એવી રીતે ગોલ કરે છે.
હોકીના મહાન જાદુગરે 43 વર્ષની ઉંમરે સ્વેચ્છાથી નિવૃતિ જાહેર કરી. ભારત સરકારે લશ્કરમાં મેજરનો હોદ્દો આપ્યો તથા દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરીક સન્માનથી સન્માનિત કર્યા. 1956માં વય નિવૃતિના લીધે મેજર ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત થયા. નિવૃત થયા બાદ તેમણે પટીયાલા ખાતેના નેશનલ ઇન્સ્ટિયુટ ઓફ સ્પોર્ટમાંથી કોંચિગમાં ડિપ્લોમા કર્યું હતું. જો કે મહાન જાદૂગર ખેલાડી કોચિંગમાં ખાસ સફળ રહયા ન હતા કારણ કેે તેઓ નિયમમાં બંધાયા વગરની નૈસર્ગિક હોકી જ રમતા હતા. ધ્યાનચંદની પ્રતિભાનો ભારતીય હોકી પર દાયકાઓ સુધી પ્રભાવ રહયો હતો. પોતાની હોકી આંતરરાષ્ટ્રીય હોકી કારર્કિદી દરમિયાન 1000 થી પણ વઘુ ગોલ કર્યા હતા.
મેજર ધ્યાનચંદની સિદ્ધિઓને સમગ્ર વિશ્વમાં યાદ કરવામાં આવે છે. આજ સુધી કોઈ ખેલાડી તેમનો રેકોર્ડ તોડી શક્યો નથી. 1928 માં, એમ્સ્ટરડેમમાં, બ્રિટિશ શાસિત ભારતીય ટીમે ફાઇનલમાં નેધરલેન્ડને 3-2 થી હરાવીને ઓલિમ્પિકમાં પ્રથમ વખત હોકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ભારતીય હોકીને ધ્યાનચંદના રૂપમાં એક નવો સ્ટાર મળ્યો, જેમણે પાંચ મેચમાં 14 ગોલ કર્યા હતા. કેન્સર જેવી ગંભીર બીમારી બાદ 3 ડિસેમ્બર 1973 નાં રોજ મેજર ધ્યાનચંદનું નિધન થયું.
