નવસારીમાં મોડી સાંજ સુધીમાં 3000 થી વધુ પ્રતિમાઓનુ ચાર સ્થળે વિર્સજન
Live TV
-
નવસારીમાં ગણેશ વિર્સજન વિના વિધ્ને ચાલી રહ્યુ છે. સાંજના પાંચ વાગ્યા સુધીમાં વિરાવળ પૂર્ણાનદીમાં કુલ 3000 થી વધુ પ્રતિમાઓનુ વિર્સજન કરાયુ હતુ. જો કે નવસારી વિજલપોર પાલિકા દ્રારા તૈયાર થયેલા બે કૃત્રિમ તળાવોના બદલે આજે પૂર્ણા નદીમાં જ પાણીનો પ્રવાહ વધુ હોય ત્યાં જ વિર્સજન કરાયુ હતુ. જ્યાં પ્રા.જશુભાઇ નાયક, નરેશ ઢીમ્મર વિગેરે સ્વયંસેવકોએ સેવા આપવા સાથે વિવિધ મંડળોને સતત માર્ગદર્શન આપ્યુ હતુ.
કોરોનાની મહામારી ઓછી થતા જ સરકારે વિર્સજનની મંજૂરી આપી હતી. જેમા તમામ ગણેશજીની પ્રતિમાઓ ચાર ફુટની અને મંડળો દ્રારા બેન્ડ કે ડી.જે.વગર જ સરઘસ કાઢવાની મંજૂરી અપાય હતી તો બીજી તરફ પાલિકા દ્રારા વિરાવળ પૂર્ણા નદી કાંઠે જ બે કૃત્રિમ તળાવો તૈયાર કરાયા હતા. પરંતુ તેના પાણીમાં પ્રતિમા ડુબાડનારાઓને સ્કીન પર ખંજવાળ આવતી હોવાનો પ્રશ્ન ઉભો થતા જ આ બન્ને તળાવોના બદલે પૂર્ણા નદીમાં જ વિર્સજન કરાયુ હતુ. ટાઉન પોલીસ ઇન્સપેક્ટર મયુર પટેલ અને ટીમે સીટી વિસ્તારમાં તો અન્ય સ્થળે પણ અધિકારીઓ બંદોબસ્તમાં ગોઠવાયા હતા. દાંડી, ઉભરાટ, ધારાગીરી સહિત કેટલાક ગામોના તળાવોમાં પણ મોટી સંખ્યામાં પ્રતિમાઓનુ ભક્તિભાવ પૂર્વક સજળ નયને વિર્સજન કરાયુ હતુ.
નવસારીના લક્ષ્મણ હોલ, ટાવર ખાતે ધારાસભ્ય પિયુષ દેસાઇ, પાલિકા પ્રમુખ જીગીશ શાહ, સ્ટેન્ડીગ ચેરમેન અશ્વિન કાસુન્દ્રા, પરેશ કાસુન્દ્રા, હેમંત બોદાલીયા સહિત આગેવાનોએ પસાર થતી શ્રીજીની પ્રતિમાઓને પુષ્પાંજલી અર્પી સ્વાગત કર્યુ હતુ. પોલીસે માત્ર ગણેશ પ્રતિમાઓ લઇ જતા વાહનોને જ ટાવરથી વિરાવળ સુધી જવાની મંજૂરી આપી હતી. બાકીના વાહનોને ડાયવર્ટ કરાયા હતા. સાંજ સુધી ગણેશ મંડળના પ્રમુખ કનક બારોટ અને ટીમે વિવિધ સ્થળે વ્યવસ્થા માટે હાજર રહ્યા હતા.
