Skip to main content
Settings Settings for Dark

પાટણ : બાયોડાયવર્સિટી થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૦ ની ઉજવણી

Live TV

X
  • જાપાનની મિયાવાકી પદ્ધતિથી માત્ર ૭.૫૦ મી. X ૪૫ મી. જગ્યામાં વાવેલા ૩૦૦ જેટલા વૃક્ષોના ‘સિદ્ધવન’ થકી બાયોડાયવર્સિટીનો નવો આયામ

    શહેરની વચ્ચે જંગલ જોયું છે...? જી, હાં. પાટણ શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીના યુનિવર્સિટી રોડ પર ઉછરી રહ્યું છે એક નાનકડું ‘જંગલ’. માત્ર છ જ મહિના પહેલા રાજમહેલ એટલે કે વિશ્રામ ગૃહના પ્રાંગણમાં આવેલા બાગમાં પ્રાયોગીક ધોરણે ખુબ નાનકડી જગ્યામાં વાવવામાં આવેલા ૩૦૦ જેટલા વૃક્ષો બાયોડાયવર્સિટીને નવો આયામ આપશે.

    પાટણના પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જુના વિશ્રામ ગૃહના બાગમાં જાપાનની મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિથી ૩.૭૫ X ૨૦ મીટર તથા ૩.૭૫ X ૨૫ મીટરના બે બ્લોકમાં ૩૫થી વધુ વિવિધ પ્રજાતિના ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ફૂલ છોડ, આયુર્વેદિક ગુણ ધરાવતા તુલસી જેવા છોડ, સિતાફળ, ગુંદા અને બદામ જેવા પક્ષીઓને અનુકુળ નાના વૃક્ષો, ઉપરાંત લીમડો, પીપળો, ગુલમહોર, સેવન અને મહાગુની જેવા વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું.

    આ અંગે વાત કરતાં પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશનના ફાઉન્ડરશ્રી પારસભાઈ પટેલ જણાવે છે કે, ઈન્ટરનેટ પર સર્ચ કરતાં મને વૃક્ષારોપણની આ પદ્ધતિ વિશે ખબર પડી. નર્સરીના વ્યવસાય સાથે જોડાયેલા મિત્ર પાર્થ પટેલ અને ભરતભાઈ ચૌધરીની મદદથી એક નાનકડા પ્રયાસના ભાગરૂપે અમે થોડી જગ્યામાં હાલ પ્રાયોગીક ધોરણે વૃક્ષો વાવ્યા છે અને ખુબ ટૂંકાગાળામાં એનું સુંદર પરીણામ મળી રહ્યું છે.

    ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણના નગરપતિ સમ્રાટ સિદ્ધરાજ જયસિંહને સમર્પિત આ મીની જંગલને ‘સિદ્ધવન’ નામ આપવામાં આવ્યું છે. સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ઉછેરવામાં આવતા વૃક્ષો પ્રમાણમાં ખુબ ઓછા પાણીએ પણ ઝડપી વિકાસ પામે છે. સૌથી મહત્વની વાત એ છે કે વૃક્ષારોપણ પછી માત્ર છ મહિનાના સમયગાળામાં દોઢથી બે ગણા ગ્રોથ રેટ સાથે ઉછરી રહેલા વૃક્ષો પૈકી માત્ર ૧૦ ટકા વૃક્ષો જ નાશ પામ્યા છે.

    રણમાં ખોવાયેલા માણસને મીઠી વિરડી મળે એમ શહેરના પ્રદુષણ અને ઘોંઘાટના કારણે લુપ્ત થઈ રહેલા ચકલી જેવા પક્ષીઓ અને મધમાખીઓ જેવા જીવ-જંતુઓ માટે આ જંગલ શ્રેષ્ઠ આશ્રય સ્થાન સાબિત થશે. તા.૦૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ‘બાયોડાયવર્સિટી’ થીમ પર કરવામાં આવનાર છે ત્યારે શહેરમાં જો મોટાપાયે આ પદ્ધતિથી વૃક્ષો નહીં પણ આખે આખા જંગલ ઉછેરવામાં આવે તો બાયોડાયવર્સિટીનું પણ જતન થશે.

    શહેર ઉપરાંત ખેતીલાયક જમીનના અમુક હિસ્સામાં આવા જંગલના કારણે તેમાં આશ્રય પામતા પક્ષીઓ દ્વારા ઈયળો જેવા જંતુઓનો નાશ થવાથી પાકની સલામતી જળવાય છે અને મધુમાખીઓથી થતા પૉલીનેશન એટલે કે પરાગનયનથી ફ્લાવરીંગ સારૂ થતાં વધુ ઉત્પાદન પણ મળે છે એટલે કે આર્થિક ફાયદો પણ ખરો. વળી વધુ ગ્રોથ રેટના કારણે ચંદન, સીસમ જેવા વૃક્ષોનું ઉત્પાદન પણ વધુ ઝડપથી મળતાં વધારાની આવક પણ મળે છે.

    વિકાસની દોટમાં જંગલોનો નાશ કરી શહેરીકરણ તરફ વળેલી માનવજાત હાલ ગ્લોબલ વોર્મિંગ સહિતની સમસ્યાઓનો સામનો કરી રહી છે. વધતો જતો ગરમીનો પારો અને અનિયમિત વરસાદ જાણે ક્રમ થઈ ગયો છે અને તેની સામેનો શ્રેષ્ઠ ઉપાય વનીકરણ છે ત્યારે પર્યાવરણના રક્ષણ માટે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ નહીં ચાલો આખું જંગલ વાવીએ... જય વૃક્ષ નારાયણ

    શું છે મિયાવાકી પદ્ધતિ?
    જાપાનના વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિમાં જમીનના પ્રકાર મુજબ ૩ ફૂટ ઉંડો ખાડો કરી તેમાં વર્મિ કમ્પોસ્ટ અને કોકોપીટનું મિક્ષ્ચર નાંખવામાં આવે છે. પ્લાન્ટેશન કર્યા બાદ પ્લાન્ટની આસપાસની જમીનમાં સૂકુ ઘાંસ કે બાજરીનું ભુસૂ નાંખવામાં આવે છે. જમીનમાં નાંખવામાં આવેલા કોકોપીટ અને સપાટી પરના ભુસાના કારણે ભેજ જળવાઈ રહેવાથી ઓછા પાણીથી પણ વૃક્ષનો ઝડપી અને ઉત્તમ વિકાસ થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply