રાજકોટના કોટડા સાંગાણીના કેમિકલ ફ્રી દેશી ગોળની વધી માગ
Live TV
-
ખેડૂતો શેરડીની ખેતી અને ગોળના ઉત્પાદનથી મેળવે છે સારી આવક
છેલ્લા કેટલાક સમયથી લોકો ખાનપાનની વસ્તુઓ, શાકભાજી, ફળ-ફળાદી સહીત ઓર્ગેનિક વસ્તુઓ પ્રત્યે વધુ સજાગ થયા છે. જેના કારણે ખેડૂતો પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતથી પ્રેરણા લઇ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જેમાં દેશી ઓર્ગેનિક ગોળ પણ હવે લોકોના ભોજનનો એક મહત્વનો ભાગ બન્યો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી નગરની આસપાસ ભાડવા અને રાજગઢ ગામમાં શેરડીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેને કારણે ત્યાં જ દેશી ગોળની બનાવટનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. આ ગામોમાં ગોળનું ઉત્પાદન હજુ પણ પરંપરાગત રીતે કરવામાં આવે છે. જેમાં ખેતરમાં જ ભઠ્ઠી બનાવી રાબડામાં રસને પકવવામાં આવે છે અને તેમાંથી ગોળનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યાં ગોળના ઉત્પાદન માટે ખાસ ઉત્તરપ્રદેશથી કારીગરોને બોલાવવામાં આવે છે. જેઓ ગોળ બનાવવામાં નિષ્ણાત હોય છે. ગોળ બનાવ્યા બાદ વધેલા શેરડીના છોતરાને સુકવીને તેનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
કોટડા સાંગાણીના એક ગોળ ઉત્પાદક સાગરભાઈ વઘાસીયા જણાવે છે કે, અમારે 40 વીઘામાં શેરડી થાય છે. અહીં પાણી પુષ્ક્ળ પ્રમાણમાં મળી રહે છે તેથી શેરડી મીઠી અને રસદાર હોય છે. જેમાંથી સારા પ્રમાણમાં ગોળનું ઉત્પાદન કરી શકાય છે. વીઘે 100 મણ જેટલુ ગોળનું ઉત્પાદન થાય છે. રોજ મોટા ભાગનો તાજેતાજો ગોળ અહીં વાડીએથી જ લોકો લઈ જાય છે. બાપદાદાના વ્યવસાય સાથે સંકળાયેલા સાગરભાઈ અને તેમનો પરિવાર છેલ્લા ૪૦ વર્ષોથી દેશી ગોળનું ઉત્પાદન કરી રહ્યા છે.
આજ રીતે ભાડવા ગામે પ્રતાપસિંહ અને તેમના પરિવારજનો વર્ષોથી દેશી ગોળની બનાવટ પરંપરાગત રીતે કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, લોકોના આરોગ્યને ધ્યાને રાખી ગોળ બનવવામાં કે પ્રોસેસ કરવામાં કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી, અને સંપૂર્ણ પ્રાકૃતિક અને હાઈજેનીક રીતે ગોળ બનાવવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
ખેડૂતો શેરડીની ખેતી અને ગોળના ઉત્પાદન થકી વીઘે દોઢ લાખ જેવી આવક મેળવી લે છે. ત્યારે ખેડૂતો માટે ગોળ મીઠી આમદની પેદા કરવાનું સશક્ત માધ્યમ બન્યુ છે.
