રાજકોટ: કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાસ ડોમની સુવિધા
Live TV
-
રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા 108 એમ્બુલન્સ માટે લોકોએ વેઈટિંગમાં રહેવું પડે છે. તેવામાં 108 એમ્બુલન્સમાં આવતા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે જિલ્લા કલેક્ટરે ખાસ ડોમ ઉભા કર્યા છે. આ ડોમમાં દર્દીઓની પ્રાથમિક તપાસ અને ઈમરજન્સી સારવાર કરવામાં આવશે. સાથે જ 108 એમ્બુલન્સમાં આવતા દર્દીઓને હવે સીધી જ ડ્રાઈવ થ્રૂ સારવાર આપવામાં આવશે. જેના માટે અહીં 50 તબીબ અને પેરા મેડિકલના 10 કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા છે. હળવા લક્ષણ ધરાવતા કોરોનાના દર્દીઓએ લાંબો સમય સુધી એડમિશન માટે ઉભું ન રહેવું પડે તે માટે સમરસ કેન્સર હોસ્પિટલ કે ESI હોસ્પિટલમાં દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 108 એમ્બુલન્સમાં આવતા કોરોનાના દર્દીઓને ઝડપથી દાખલ કરવામાં આવે અને તેમની સારવાર શરૂ થાય તે માટે આ ડોમ ચૌધરી હાઈસ્કૂલમાં બનાવવામાં આવ્યા છે.
રાજકોટમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની માગ પણ વધી રહી છે. તેવામાં રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને લોકોને ચિંતા ન કરવા અપીલ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટને દરરોજ 100 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત સામે પૂરતો જથ્થો મળી રહેશે. હોમ આઈસોલેટ દર્દીઓ અને હોસ્પિટલ માટે અલગ અલગ જગ્યાએ રિફીલિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. જેથી દર્દીઓને ઝડપથી ઓક્સિજન મળી રહે, બીજી તરફ કુંદન કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના મોત અંગે પણ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા.
