લગ્નની કંકોત્રી કે ચકલીનો માળો ?: રાજકોટના પ્રકૃતિ પ્રેમીએ લગ્નમાં કર્યો નવતર પ્રયોગ
Live TV
-
લગ્નનો દિવસ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે, અને એટલે જ દરેક વ્યક્તિ તેમના આ દિવસ યાદગાર બનાવવા માટે અનેક નવતર પ્રયત્નો કરતા હોય છે. લગ્નમાં વિદેશી ફૂલોથી મંડપ સજાવવાથી લઈને જમણવારમાં મોંઘી થાળી, ડિઝાઈનર કપડા અને કંકોત્રી પણ ખાસ ડિઝાઈનવાળી બનાવડાવતાં હોય છે. લોકોના ઘરે અનેક કંકોત્રીઓ આવતી હોય છે. જો કે, લગ્ન પુરા થયા બાદ તેનો કોઈ ઉપયોગ થતો નથી. આ વાતથી પ્રેરણા લઇ રાજકોટમાં એક અલગ પ્રકારની જ કંકોત્રી બનાવવામાં આવી છે. કંકોત્રી તો તમે અનેક જોઈ હશે, પણ ચકલીના માળામાં તૈયાર કરેલી કંકોત્રી તમે ક્યારેય જોઈ છે? જી હા આ કંકોત્રીની બનાવટ એક નેક વિચાર સાથે એટલી સરસ રીતે બનાવવામાં આવી છે કે, તેમાં ચકલી માળો બનાવીને આરામથી રહી શકે છે.
પુત્રનું ઘર વસી રહ્યું છે, તેવા સમયે પક્ષીઓના ઘરની ચિંતા જેવી આ અનોખી પહેલ જામનગર-ધ્રોલના રહેવાસી અશોકભાઈ નકુમ દ્વારા કરવામાં આવી છે. તેમના પુત્રના લગ્ન પ્રસંગે તેમણે એવી એક કંકોત્રી બનાવી જે કંકોત્રી લગ્ન બાદ ચકલી ઘર બની જાય છે. જેથી લગ્ન બાદ લોકો જે કંકોત્રી ફેંકી દે છે, તેની જગ્યાએ આ કંકોત્રીને સાચવી રાખવાથી અનેક ચકલીઓને રહેવા માટે માળો મળી રહે તેવા નેક વિચાર સાથે અશોકભાઈએ આ પહેલ કરી છે.
આ પ્રયોગ અંગે વાત કરતા રાજકોટના નેચર એન્ડ એડવેન્ચર ક્લબના પ્રમુખ ભરત સુરેજાએ જણાવ્યું હતું કે, આ અનોખી લગ્ન કંકોત્રી માત્ર આમંત્રણનું માધ્યમ ન બની રહેતા સમાજસેવા, જીવદયા, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમની અભિવ્યક્તિનું માધ્યમ બની છે.
