95 વર્ષના વસુબાએ 11 વર્ષમાં સ્વહસ્તાક્ષરે લખ્યા 50 થી વધુ પુસ્તકો
Live TV
-
શિક્ષણ, વાંચન અને લેખનને ઉંમરનો કોઈ બાધ હોતો નથી. ગમે તે ઉંમરે શિક્ષણ, વાંચન અને લેખન કાર્ય કરી શકાય છે. તેવા જ એક ગીર સોમનાથનાં વૃદ્ધાની અનોખી લેખન ભક્તિની વાત જોઇએ. વેરાવળ તાલુકાનાં કાજલી ગામે રહેતા વસુબા કરશન ઝાલા જેમની ઉંમર 95 વર્ષ છે. વસુબા છેલ્લા 50 વર્ષથી ધાર્મિક પુસ્તકો વાંચવાનો અને તેમાંથી કંઇક નવું જ પ્રાપ્ત કરવાનો અનોખો શોખ ધરાવે છે. આથી જ તેઓએ છેલ્લા 11 વર્ષથી સ્વહસ્તાક્ષરે પુસ્તકો લખવાની શરૂઆત કરી હતી. ધાર્મિક ભજનો, ઋષિ અને નદીઓના નામથી શરૂ કરીને વસુબા શિવ પુરાણ, મહાભારત, રામાયણ, ગીતાનુ વાંચન કરી સાર કાઢી લેખન કરે છે, જે તેમની આગામી પેઢીને સંસ્કાર સ્વરૂપે ઉપયોગી નીવડી શકે છે. શિવ, રામ, કૃષ્ણ અને દેવી દેવતાઓ ઉપર ઘણા બધા ભાવ ગીતો પણ વસુબાએ લખેલા છે. તેઓએ 11 વર્ષમાં 50 થી 60 મોટા પુસ્તકો લખેલા છે. વસુબાએ જણાવ્યું હતું કે તેઓ જીવનપર્યંત ધાર્મિક પુસ્તકો લખવાનુ કાર્ય કરશે. વસુબાના પુત્ર સુરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વસુબાને નાનપણથી જ વાંચનનો શોખ હતો અને આજે પણ તે શોખને તેમણે જાળવી રાખ્યો છે.
