લીંબડીમાં કોરોનાથી મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને નિ:શુલ્ક શિક્ષણ આપવાનો નિર્ણય
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના સંતાનોને ધોરણ 1થી 10 સુધી નિ:શુલ્ક શિક્ષણ આપવાનો સેવાભાવી નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન વેપાર ધંધામાં જે લોકોએ આર્થિક નુકસાની વેઠી હોય તેવા વ્યક્તિઓના બાળકોને પણ શિક્ષણ ફીમાં રાહત આપવામાં આવશે. લીંબડીના દિલાવરસિંહ રાણા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ સામજિક સેવા પ્રવૃત્તિઓમાં હમેશાં આગળ રહે છે. શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ દ્વારા વૈશ્વિક કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવવા વાળા બાળકોનું ભણતર- શિક્ષણ અટકે નહીં તે હેતુથી આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. લીંબડી તેમજ આસપાસના સ્થાનિક લોકો આ અનોખી સમાજ ઉપયોગી પહેલને બિરદાવી રહ્યા છે.
આ સંસ્થાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ઘણો સમય લોકડાઉન રહ્યું હોવાથી અનેક વેપારીઓના ધંધા-રોજગાર ઉપર તેની માઠી અસર પડી હતી તેમજ ઘણા બાળકોએ તેમના માતા-પિતા પણ ગુમાવ્યા છે. આજના સમયમાં જ્યારે શિક્ષણને વ્યાપાર બનાવી દેવાયો છે, ત્યારે આવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુથી શ્રી સરસ્વતી વિદ્યાલય- લીંબડી દર વર્ષે 70 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ફી માફી આપવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ 67 જેટલા વિદ્યાર્થીઓ નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
