વડોદરાની નીશાકુમારીએ હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી ઉજવ્યો 76મો સ્વાતંત્ર્ય દિવસ
Live TV
-
વડોદરાની નીશાકુમારી આમ તો શિક્ષણથી ગણિત શાસ્ત્રી છે. જો કે તેમને હિમાલયના ઉત્તુંગ શિખરો, બરફના ઢગ અને જોખમી ચઢાઈનું ગણિત સમજવામાં ભારે રસ છે. પર્વતારોહણ, સાયકલિંગ ,વોકિંગ, રનીંગ અને વ્યાયામનો શોખ ધરાવે છે. એણે દેશનું 76મું સ્વતંત્રતા પર્વ અનોખી રીતે ઉજવીને આઝાદી કા અમૃત પર્વને યાદગાર બનાવ્યું છે.
નિશાએ આ દિવસે હિમાલયના લેહ લડાખ ક્ષેત્રના 6500 મીટર ઊંચા માઉન્ટ નુન શિખરને સર કર્યું અને સૂસવાટા મારતા ઠંડા હિમ જેવા પવનો અને બરફના ઢગલા વચ્ચે શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ આ વખતે હર ઘર તિરંગાનો નારો આપ્યો હતો. વડોદરાની આ દીકરીએ હિમાલયના શિખર પર તિરંગાનો એક નવો આયામ તેમાં ઉમેર્યો છે. તેનું ધ્યેય માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે જેના માટે તે છેલ્લા 5 વર્ષથી સતત મહેનત કરી રહી છે. એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર જેટલી છે. નુન પર્વત તેના નાના ભાઈ જેવો છે જેને સર કરીને નિશાએ જાણે કે વિશ્વના સૌથી ઉંચા શિખરને સર કરવા તરફ પહેલું ડગલું માંડ્યું છે.
નિશાના પ્રોત્સાહક નિલેશ બારોટે જણાવ્યું કે, પર્વતારોહણ ખૂબ ખર્ચાળ ઝનૂન છે. જો કે ઉપરોક્ત આરોહણ માટે આ દીકરીને ગૌરા બ્લોકચેઈન નામક કંપનીએ રૂ.2 લાખની મદદ કરીને આર્થિક તાકાત પૂરી પાડી. નિશા આ કંપનીનો દિલથી આભાર માને છે. વડોદરામાંથી ભાગ્યે જ કોઈ પર્વતારોહકે આ શિખર સર કર્યું છે એવું તે માને છે. હવે તે એવરેસ્ટની તૈયારીના ભાગરૂપે મનાલીથી ઉમલિંગલ પાસની અંદાજે 550 કિલોમીટરની અઘરી અને જોખમી સાયકલ યાત્રા તા.18 ઓગષ્ટથી શરૂ કરવા માટે તત્પર છે. અગાઉ તે મનાલીથી ખારદુંગ્લા પાસ સુધીની સફળ સાયકલ યાત્રા કરી ચૂકી છે. આ યાત્રા તે પ્રધાનમંત્રીના ફીટ ઇન્ડિયા અભિયાન, આઝાદી કા અમૃત પર્વ અને ભારત કે વીર જવાન અભિયાનને વેગ આપવા માટે કરવાની છે.
