વડોદરા: બાવળિયાના પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી શિયાળાની હરિયાળી જમાવટ
Live TV
-
હાલમાં દાંત કકડાવતી અને હાડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે ત્યારે શિનોર તાલુકાના નાનકડા બાવળિયા ગામના અને પ્રાકૃતિક સાત્વિક ખેતીના ભેખધારી વનરાજસિંહ ચૌહાણના ખેતરની પ્રાકૃતિક શાકવાડીમાં સાત્વિક ઉત્પાદનોનો હૂંફાળો શિયાળો જામ્યો છે. આમ તો શિનોર તાલુકો નર્મદા માતાના ધાવણથી સિંચિત છે છતાંય તેઓ જળ બચાવતી ટપક સિંચાઇથી ખેતી કરે છે. હાલમાં તેમનું ખેતર કુદરતી તત્વોને આધીન પકવેલા ફુલાવર, કોબીજ, રતાળુ, ગાજર, મૂળા, દૂધી, મેથી, બીટ, સરગવો, ધાણા અને લીલી હળદર જેવા શાકભાજી અને મસાલા પાકો અને પપૈયા, જામફળ જેવા ફળોથી લીલું છમ્મ છે. તેઓ 5 એકર જમીનમાં આ ખેતી કરે છે.
શાકભાજી અને મસાલા પાકો ઉપરાંત તેઓ સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગની વિભાવનાઓને અનુસરીને ઘઉં, ચોખા, દેશી જુવાર અને બાજરીના ધાન્યો તથા તુવેર, ચણા અને મગ એ ત્રણ જાતના કઠોળ અને રાઈ, મેથી અને હળદર જેવા મસાલા પણ કુદરતી ખેતીથી પકવે છે.
તેઓ કહે છે કે, "મારા આ સાત્વિક ખેતીના કૃષિ ઉત્પાદનોની સીધી માંગ છે. વડોદરાના નિયમિત ગ્રાહકોને આ ઉત્પાદનો સીધાં જ પૂરા પાડવામાં આવે છે તેમજ તેમની માંગ પ્રમાણે નવા પાકો, શાકભાજી ઉગાડવાનો હું પ્રયત્ન કરું છું."
તેમણે ગીર ગાયની ગૌશાળા ઉછેરી છે. જેમાં 150 જેટલો ગૌવંશ પરિવાર પોષાઈ રહ્યો છે. હાલમાં દૂધ આપતી 30 જેટલી ગૌ માતાઓથી દૈનિક 150 લીટર જેટલું દૂધ મળે છે. જે પણ માંગ પ્રમાણે સીધું ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે.
વનરાજસિંહ આ પ્રાકૃતિક ખેતી માટે જિલ્લા અને રાજ્ય કક્ષાએ આદર્શ ખેડૂતના પુરસ્કારો મેળવી ચૂક્યા છે. તેમનું ખેતર કુદરતી ખેતીનું મોડેલ ફાર્મ ગણાય છે. જ્યાં આ ખેતી અંગે જિજ્ઞાસા ધરાવતા ખેડૂતો તેને જાણવા અને સમજવા માટે ત્યાં આવે છે.
વનરાજસિંહ અને તેમના કુદરતી ખેતી સાથે જોડાયેલા મિત્રો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, જે આ ખેતીના જાતે પ્રયોગો કરવાની સાથે પ્રખર હિમાયતી અને પ્રચારક છે, તેમના પ્રત્યે ખૂબ ઊંડો આદર ધરાવે છે. રાજ્યપાલએ તેમને રાજભવન બોલાવીને તેમના પ્રયોગો જાણ્યા છે અને પ્રોત્સાહક માર્ગદર્શન પણ આપ્યું છે. વનરાજસિંહે તાજેતરમાં સુશાસન સપ્તાહની ઉજવણી પ્રસંગે વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપ્યું હતું અને કૃષિ મહોત્સવોમાં પણ માર્ગદર્શન આપે છે.
તેમણે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ ના સિદ્ધાંતો પ્રમાણે આ કુદરતી ખેતીની તાલીમ મેળવી છે અને તેમની સાથે પરામર્શ પણ કર્યો છે. તેઓ કહે છે કે, આ એવી ખેતી છે જેમાં કોઈ વસ્તુ બહારથી લાવવાની જરૂર પડતી નથી. ખેતરમાં અને તેની આસપાસ મળતાં પ્રાકૃતિક સંશાધનો અને ગૌ દ્રવ્યોથી આ ખેતી થાય છે. ખેતરના શેઢા પાળા પર ઉગતા લીમડા, ધતૂરો, આંકડો, સીતાફળ અને કરંજ જેવા વૃક્ષોના પર્ણોની કડવાટને ગૌમૂત્ર સાથે ભેળવીને બનતું પ્રવાહી જીવામૃત પાક રક્ષક અને પોષક જંતુનાશકોની ગરજ સારે છે. તો ગાયના છાણને જૈવિક કચરા સાથે ભેળવીને બનતું ધન જીવામૃત ઉત્તમ ખાતરની ગરજ સારે છે. રસાયણ મુક્ત ખેતી જમીનને પણ નવચેતન અને નવસાધ્ય કરે છે.
