સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં આનંદની પળો 17 મહિના પછી પહેલી વાર 1 પણ કોરોનાનું દર્દી દાખલ નથી
Live TV
-
તબીબી અધિક્ષક અને વહીવટી અધિકારી સાથે કોવિડ વોર્ડની ટીમે આદ્યશક્તિને આવી સુખદ પરિસ્થિત સદાય જાળવવા પ્રાર્થના કરી અને મીઠાઈ વહેંચી
વડોદરા તા.૨૦ ઓગસ્ટ, ૨૦૨૧ (શુક્રવાર) આજ તા.૨૦ મી ઓગસ્ટ નો દિવસ સયાજી હોસ્પિટલ અને ખાસ કરીને મધ્ય ગુજરાતની આ સહુ થી મોટી હોસ્પિટલના કોવિડ વોર્ડ માટે એક પણ કોવિડ પોઝિટિવ દર્દી દાખલ ના હોય એવી સુખદ પરિસ્થિતિ લઈને આવ્યો હતો.છેલ્લા ૧૭ મહિનાના કપરા સમય પછી આનંદની આ ઘડી આવી હતી.ત્યારે હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયર અને કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ને સાથે રાખીને તબીબો,નર્સિંગ સ્ટાફ,સહાયક સ્ટાફ અને સેવકો,સહુએ સાથે મળીને માં આદ્યશક્તિ ને,પરમ કૃપાળુ પરમાત્મા ને, ખુદા અને જીસસ ને,સહુની આસ્થા પ્રમાણેના પ્રભુ સ્વરૂપને વિનમ્ર હૃદયે આવી કોવિડ મુક્ત પરિસ્થિત કાયમ રાખવા ખરા દિલ થી પ્રાર્થના કરી હતી અને એક બીજાને ખુશાલીની મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કર્યું હતું.
આગામી નવરાત્રી જાણે કે આજ થી શરૂ થઈ હોય તેવા ઉમંગ સાથે સહુએ ગરબા કર્યા હતા. આપણે હાલ પુરતા કોવિડ સામે જીત્યા છે એવી લાગણી વ્યક્ત કરતાં તબીબી અધિક્ષકશ્રી એ જણાવ્યું કે,હજુ પણ પડોશી સહિત અન્ય રાજ્યોમાં કોવિડ છે,ચેપ આપણા સુધી આવી શકે,એટલે તમામ સાવચેતી રાખવામાં જ ભલાઈ છે. તમામે માસ્ક અવશ્ય અને હંમેશા પહેરવો,બજારોમાં અને તમામ જાહેર સ્થળોમાં,પ્રસંગોમાં,કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ પાળવું એ અનિવાર્ય છે.આજે ખુશીનો પ્રસંગ છે,છેલ્લા ૧૭/૧૮ મહિના થી આ વિભાગ, આ બિલ્ડિંગ અને સમરસ હોસ્ટેલ કોવિડ ના દર્દીઓ થી ઉભરાતી હતી. એક સમયે મહત્તમ ૮૦૦ જેટલાં દર્દી દાખલ હતા,શહેર જિલ્લા અને મધ્ય ગુજરાતના,રાજ્યના અન્ય જીલ્લાઓ અને પડોશી રાજ્યોના દર્દીઓ દાખલ હતાં.
આજે હાલ પૂરતી દાખલ દર્દી સંખ્યા શૂન્ય થઈ છે. કોવિડ ઓપીડીમાં નવા દર્દીઓ મળતાં નથી. આ પ્રસંગે હું જેમણે કોવિડ સારવારની સતત અને થાક્યા વગર મહિનાઓ સુધી સેવા આપી છે,ચેપ લાગવાના જોખમ સામે ઝઝૂમીને સેવાઓ આપી છે, એ તમામ તબીબો,નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનિશ્યન અને સહાયક સ્ટાફ,ચોથા વર્ગના સેવકો,સુરક્ષા કર્મચારીઓ અને જરૂરિયાતના પ્રસંગે તબીબી સાધન સુવિધાની સખાવત આપનારા દાતાઓની સેવાઓને બિરદાવી ને આભાર માનું છું.અમારા નર્સિંગ સ્ટાફના ત્રણ સદસ્યો કોવિડ નો ભોગ બન્યા છે એમને અંજલિ આપું છું. મારા સહિત અન્ય તબીબો અને અમારી ટીમના સદસ્યો પણ આ દરમિયાન કોવિડ ના ચેપમાં સપડાયા અને સાજા થઈને પાછા સારવાર સેવામાં લાગી ગયા હતાં. આ તબક્કે હું સહુને કોવિડ એપ્રોપ્રિએટ બીહેવિયર પાળીને સહયોગ આપવા વિનંતી કરું છું કારણકે સાવચેતીના પાલનમાં જ સર્વોચ્ચ સલામતી છે.કોવિડ વોર્ડમાં એક પણ દર્દી સારવાર હેઠળ ના હોય એવી સુખદ પરિસ્થિતિ ૧૭ મહિનામાં પહેલીવાર સર્જાઈ એનો આનંદ વ્યક્ત કરતાં ડો. બેલીમે જણાવ્યું કે,હાલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કોવિડ ઓપીડીમાં ખૂબ ઘટાડો થયો છે, રેપિડ ટેસ્ટ જેટલાં થયાં એટલા નેગેટિવ આવ્યા છે.
અમે ખૂબ વિકટ લડાઈ સાથે મળીને લડ્યાં છે,ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ,વહીવટદાર અશોકભાઈ પટેલ,સલાહકાર ડો. મીનુ પટેલ,મેડિકલ કોલેજના ડીન મેડમ શ્રીમતી જાવડેકર અને તબીબી અધિક્ષક ડો.ઐયર સહિત સહુ સતત સાથે રહ્યાં છે, અમને સહુને પ્રોત્સાહિત કર્યા છે.પરમાત્મા ની કૃપા થી આજે કોવિડ ના દર્દી વગરના કોવિડ વોર્ડની પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે વોર્ડને હજુ પણ પૂર્વવત સુસજ્જ રાખવામાં આવશે. કોવિડ ની સંભવિત ત્રીજી લહેર ના આવે એવી પરવરદીગાર ને પ્રાર્થના સાથે સંપૂર્ણ તૈયારી રાખી છે.સહુ આશ્વસ્ત રહે અને સાવચેતીઓ અવશ્ય પાળે.
