સાપુતારાઃ પોલીસ આવાસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ
Live TV
-
સાપુતારાઃ પોલીસ આવાસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ
ગિરિમથક સાપુતારામાં પોલીસ આવાસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાપુતારા ખાતે રૂ. 377.76 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ડાંગ પ્રદેશના લોકોની નિષ્ઠા અને પ્રામાણિકતાની સરાહના કરી. વધુમાં તેઓએ નવનિર્મિત આવાસ જે કર્મચારીઓને ફાળવવામાં આવે, તે આવાસને માત્ર સરકારી મકાન જ નહીં માનતા, પોતાના સપનાનું ઘર તરીકે સમજીને, સુખરૂપ ગૃહપ્રવેશ કરી ખુશીથી પોતાના પરિવાર સાથે જીવન વ્યતિત કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. આવાસમાં રહેતા પરિવારોની બહેનોની એક કમિટિ બનાવી આવાસ પરિસરની સ્વચ્છતા જાળવવા સાથે, અહીં રહેતા પોલીસ પરિવારજનોના બાળકોમાં સંસ્કાર બીજનું વાવેતર કરવાનું આહવાન પણ તેઓએ કર્યું હતું. ગૃહરાજ્ય મંત્રીએ જિલ્લાના તમામ પોલીસ આવાસો વચ્ચે સ્વચ્છતા બાબતે તંદુરસ્ત સ્પર્ધા યોજવાની પણ અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંગળભાઈ ગાવિત, ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવિત, સંગઠનના હોદ્દેદારો સહિત ઇન્ચાર્જ કલેકટર બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર, સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જામીર, નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામ કરડીલે, પોલીસ આવાસ અને વિવિધ પ્રોજેકટના લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.