સુરત પોલીસની અનોખી પહેલઃ ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત લોન દરબારમાં જરૂરિયાત મંદ નાગરિકોને કરાઈ લોન સહાય મંજૂર
Live TV
-
સુરત પોલીસે જરૂરિયાતમંદ નાગરિકોને સરળતાથી લોનસહાય મળી રહે તે માટે અનોખી પહેલ કરી. ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત લોન દરબારમાં જરૂરિયાત મંદ નાગરિકો અને વિવિધ બેંકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરી 10 હજારથી લઈ 3 લાખ 50 હજાર સુધીની લોન સહાય મંજૂર કરવામાં આવી. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી મુકેશ પટેલ અને પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે લોન સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. નાગરિકો વ્યાજખોરીના દુષણમાં ન ફસાય તે માટે 300થી વધુ લાભાર્થીને લોન સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું.
સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીના ચક્કરમાં હોમાતા જરૂરિયાતમંદ નાગરિકો સરળતાથી લોનસહાય મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. વ્યાજખોરીના દૂષણને ડામવાના આ નવતર અભિગમના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા જરૂરતમંદ નાગરિકો અને વિવિધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઓ, સહકારી અને જાહેર બેંકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરી રૂ.૧૦ હજારથી લઈ રૂ. ૩.૫૦ લાખ સુધીની લોનસહાય મંજૂર કરવામાં આવી હતી. આ નવતર પહેલના ભાગરૂપે ૩૦૦થી વધુ લાભાર્થીઓને લોનસહાયના ચેકોનું વિતરણ કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશ, ભાજપા પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં અઠવાલાઇન્સ ખાતે આયોજિત સમારોહ- ‘વ્યાજખોરીના દુષણની નાબૂદી અમારો સંકલ્પ’માં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડતી બેંકોની નાણાકીય કામગીરી પ્રશંસાને પાત્ર છે. સુરત પોલીસની કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથોસાથ સામાજિક જવાબદારીરૂપ જરૂરિયાત મંદોને લોન સહાય પૂરી પાડવાની આ સંવેદનશીલ પહેલ દરેક શહેરો માટે અનુકરણીય છે. આમ નાગરિકો સાથે વિશ્વસનીયતાનો સેતુ બાંધી પોલીસની ઈમેજ બદલવામાં મોટું યોગદાન પૂરૂ પાડ્યું છે. આ સાથે તેમણે પોલીસની કરવામાં આવેલી પહેલની સમાજલક્ષી કામગીરીને બિરદાવી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરત પોલીસે શ્રેષ્ઠ કામગીરી થકી સુરતને વધુ સુરક્ષિત અને સલામતીનું વાતાવરણ નિર્માણ કરવા સાથે સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. સામાન્ય રીતે ગુનાખોરી અટકાવવા માટે પોલીસ વિભાગ કાર્યરત રહે છે. પરંતુ સુરત પોલીસે ક્રાઇમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે. ત્યારે બેંક પાસેથી મેળવેલી લોનના નાણા બેંકને સમયસર પરત કરીને અન્યોને પણ પ્રેરણા પૂરી પાડવાનો સાંસદે સર્વે લોનધારકોને અનુરોધ કર્યો હતો.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાંથી વ્યાજખોરોને પાઠ ભણાવવાની ઝુંબેશ ચલાવી મહાનગરો, નગરો અને ગામડાઓ સુધી વ્યાજખોરો વિરુદ્ધ હલ્લાબોલ કર્યું છે. જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે. નાની-મોટી નાણાભીડમાં વ્યાજે પૈસા લેતા અને વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા સેંકડો ગરીબ નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને વ્યાજના વિષધરોને શોધીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
