આજથી ભારત-શ્રીલંકા વન-ડે સીરિઝ શરૂ, કોહલી-રાહુલ-હાર્દિક પંડ્યા રમશે
Live TV
-
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીમાં બપોરે દોઢ વાગે શરૂ થશે. ભારતની છેલ્લી બે ક્રિકેટ મેચ શ્રેણીમાં બહાર રહેલ કેપ્ટન રોહિત શર્મા આ મેચ સાથે ફરીવાર ટીમનું નેતૃત્વ કરશે. ભારતનો ઝડપી બોલર જશપ્રિત બુમરાહ પીઠના નીચેના ભાગમાં ઇજાના કારણે આ વન-ડે શ્રેણીમાં ભાગ લઇ શકશે નહી. ભારતે જુલાઇ-2021માં શ્રીલંકા સાથે અગાઉ વન-ડે શ્રેણી રમી હતી.
વનડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે. આના કારણે હવેથી ટૂર્નામેન્ટની શરૂઆત સુધી દેશમાં યોજાનારી દરેક વનડે મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
સિલેક્ટર્સે કેપ્ટન રોહિત શર્માથી લઈને અનુભવી વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા જેવા સીનિયર પ્લેયરને સીરિઝમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. પહેલા ફાસ્ટર જસપ્રીત બુમરાહનું નામ પણ યાદીમાં સામેલ હતું પરંતુ તેને હજી વધુ આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું છે કે, શુભમન ગિલ તેની સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે. એટલે કે બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશન નહીં રમે. રોહિતે કહ્યું કે ઈશાનને બહાર રાખવો એ અઘરો નિર્ણય છે પરંતુ તે અત્યારે ગિલને વધુ તક આપવા માંગે છે.
