ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારત 317 રને જીત્યું, શ્રેણીમાં 1-1થી કરી બરાબરી
Live TV
-
ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે. આ સાથે ભારતે શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. 482 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે 164 રન પર સમેટાઈ ગઈ હતી અને ભારતે 317 રનોથી જીત મેળવી. આ ઈંગ્લેન્ડ સામે ભારતની સૌથી મોટી જીત છે.
ભારત તરફથી અક્ષર પટેલે ડેબ્યુ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ, રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. બીજી ટેસ્ટ મેચમા રવિચંદ્રન અશ્વિનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો. સિરીઝની આગામી મેચ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. આ મેચ ડે નાઇટ ટેસ્ટ મેચ હશે. જે પિંક બોલથી રમાશે.
આ પહેલા 1986માં લીડ્સમાં કપિલ દેવની કપ્તાનીમાં ઈંગ્લેન્ડને 279 રનથી પરાજય આપ્યો હતો. હવે આ એક રેકોર્ડ કોહલીના નામ સાથે જોડાઈ ગયો છે. જેની કપ્તાની હેઠળ ભારતે ન માત્ર ઈંગ્લેન્ડને આટલા રનથી પરાજય આપ્યો પરંતુ 89 વર્ષોના ટેસ્ટ ઈતિહાસની પાંચમી સૌથી મોટી જીત નોંધી.
ઈંગ્લેન્ડ પર 317 રનની જીત ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે પોતાની સૌથી મોટી જીત સાઉથ આફ્રિકા સામે ડિસેમ્બર 2015માં દિલ્હીના કોટલામાં મેળવી હતી ત્યારે વિરાટ કોહલીને આગેવાનીમાં આફ્રિકાની ટીમને 337 રનોથી હાર આપી હતી.
