'કભી-કભી', 'ઉમરાવ જાન' જેવી ફિલ્મોના દિગ્ગજ સંગીતકાર 'ખય્યામ'નું નિધન
Live TV
-
ભારતીય સિનેમાના પ્રખ્યાત અને દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ જહૂર 'ખય્યામ' નું 92 વર્ષની ઉંમને નિધન થયું છે. ખય્યામ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
સોમવારે સાંજથી જ ખય્યામની સ્થિતિ ગંભીર જણાઈ રહી હતી. પ્રખ્યાત સંગીતકારના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખય્યામના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પોતાના ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સુપ્રસિદ્ધ સંગીતકાર ખય્યામ સાહેબના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેમણે પોતાની યાદગાર ધૂનથી કેટલાય ગીતોને અમર બનાવી દીધા છે. તેમના અપ્રતિમ યોગદાન માટે ફિલ્મ અને કલા જગત હંમેશા તેમનું ઋણી રહેશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના ચાહકોની સાથે છે.
ખય્યામે પહેલી વાર ફિલ્મ હીર રાંઝામાં સંગીત આપ્યું હતું, પરંતુ મોહમ્મદ રફીના ગીત 'અકેલે મેં વહ ઘબરાતે હોગે' થી તેમને ઓળખ મળી હતી. ફિલ્મ શોલા ઔર શબનમથી તેમને સંગીતકાર તરીકે ઓળખ મળી ગઈ હતી. ખય્યામે ઘણી સફળ ફિલ્મો કભી-કભી અને ઉમરાવ જાન માટે પણ સંગીત કમ્પોઝ કર્યું હતું. ઉમરાવ જાનના ગીતો આજે પણ લોકોના મોઢે ચઢેલા રહે તેવા લોકપ્રિય થયા હતા. ખય્યામને શ્રેષ્ઠ સંગીત માટે નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયા હતા.