અજમેર બ્લાસ્ટનો આરોપી ભરૂચથી ઝડપાયો, ગુજરાત ATSને મળી સફળતા
Live TV
-
ગુજરાત એટીએસની સતર્કતાના કારણે 2007ના અજમેર દરગાહ બ્લાસ્ટમાં નાસતો ફરતો આરોપી પોલીસના હાથે ચડ્યો છે. અજમેર દરગાહ બ્લાસ્ટમાં ખેડા જિલ્લાના ઠાસરા ગામનો સુરેશ નાયર વોન્ટેડ હતો. વર્ષ 2007માં અજમેર દરગાહ ખાતે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 3 લોકોનાં મોત અને 16 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ગુજરાત એ.ટી.એસને બાતમી મળી હતી કે, સુરેશ નાયર આગામી દિવસોમાં ભરૂચ પાસેના શુક્લતીર્થની મુલાકાતે આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવેલી. આરોપી સુરેશ નાયરની ઓળખ થતા પોલીસ દ્વારા તેની અટક કરવામાં આવી હતી.
હાલ સુરેશને આગળની પૂછપરછ માટે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસ એન.આઇ.એ.ને સોપશે. સુરેશ નાયર પર રૂ. 2 લાખનું ઇનામ હતું. ઉલ્લેખનીય છે કે, ટ્રાયલ કોર્ટ દ્વારા આ કેસના સંડોવાયેલા કેટલાક લોકોને જન્મટીપની સજા ફટકારવામાં આવી છે.
