અધિક મુખ્ય સચિવ: તાઉ'તે’ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સજ્જ
Live TV
-
રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે તાઉ'તે’ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સજ્જ હોવાનું જણાવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હવામાન ખાતાની તાજેતરની આગાહી મુજબ તાઉ'તે વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયું છે. ત્યારે રાજ્ય સ્તરે રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે નુકસાનની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા તેમજ નિકાલ લાવવા રાજ્ય સરકારે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત માર્ગદર્શન હેઠળ તમામ સરકારી વિભાગો દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓનું ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 17 જિલ્લાનાં 840 ગામડાંમાંથી બે લાખ નાગરિકોને સલામત આશ્રયસ્થાનો પર સ્થળાંતરિત કરાયા છે. તો દરિયામાંથી પણ 19 હજાર 811 માછીમારો પરત બોલાવી લેવાયા છે. આ ઉપરાંત 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે જ હાલ ગુજરાતની એક પણ બોટ દરિયામાં નહીં હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સ્થળાંતર, બચાવ અને રાહતની કામગીરી માટે NDRFની 44 ટુકડીઓ, SDRFની 10 ટુકડીઓ તેમજ સ્થાનિક પોલીસ, હોમગાર્ડ્સ તથા ગ્રામરક્ષકદળ અને ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યા છે.
