આદરીયાણા ગામમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ગ્રામજનોએ યોજ્યો રક્તદાન કેમ્પ
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં થેલેસેમિયા જેવી ભયંકર બીમારીથી પીડાતા બાળકો માટે રક્તની જરૂરિયાતને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ આદરીયાણા ગામ ખાતે ગ્રામજનોના સહયોગથી થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જાગૃત ગામનું ઉદાહરણ પૂરું પાડતા પાટડી તાલુકાના આદરીયાણા ગામ ખાતે યુવાનો દ્વારા ગ્રામજનો, આગેવાનો અને આજુ બાજુમાં આવેલ ગામોના સાથ સહકારથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન આદરીયાણા સ્થિત પી.એચ.સી સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં આદરીયાણા સહીત આજુ બાજુમાં આવેલ ગામોના યુવાનો દ્વારા ૫૦ થી પણ વધારે બોટલ રક્તદાન કરી સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોનાના આવા કપરા સમયમાં જયારે રક્તની બોટલ મળવી પણ મુશ્કેલ છે, તેવા સમયે અંતરિયાળ વિસ્તારના એક ગામડામાંથી ૫૦ થી પણ વધારે બોટલ રક્તદાન થવું એ અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે.
આ રક્તદાન કેમ્પને પ્રોત્સાહન આપવા આજુ બાજુમા આવેલ ગામોના આગેવાનો અને યુવાનોએ ઉપસ્થિત રહી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમની જહેમત આદરીયાણા ગામના યુવાનો દ્વારા ઉઠાવવામાં આવી હતી.
