ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી
Live TV
-
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અસંગઠિત ક્ષેત્ર -અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ - નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતુ. રાજ્યના શ્રમ રોજગાર વિભાગ દ્વારા 2015ના વર્ષથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી. યુ વિન કાર્ડ આપવાની યોજનામાં 9.20 લાખ અસંગઠિત કામદારો નોંધાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા શ્રમયોગીઓના શ્રમનો -પરિશ્રમનો મહિમા કરતાં અને રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં આવા અદના માનવીઓના યોગદાન પ્રત્યેની સંવેદનશીલતારૂપે આ નવતર પહેલ ગુજરાતમાં કરવા માટે શ્રમ રોજગાર વિભાગને પ્રેરિત કરેલો છે. શ્રમયોગીઓને પોતાનો રોજ એટલે કે કામનો દિવસ પાડીને, કામ છોડીને આવા યુ-વિન કાર્ડ અંગેની નોંધણી માટે સરકારી કચેરીએ જવું ન પડે તેવી શ્રમયોગી કલ્યાણ સંવેદના દર્શાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે ગુજરાતમાં આ નવતર અભિગમ અપનાવીને ઓનલાઇન અને પોર્ટલ પર તેમજ કોમન સર્વિસ સેન્ટર દ્વારા આવા અસંગઠિત શ્રમિકોની નોંધણી સરળ બનાવી છે.
અસંગઠિત ક્ષેત્રના કામદારોની હવે તેમના કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે જ કેમ્પ યોજીને કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી થશે આવા કામદારોને તેમની ઓળખના આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર,રેશનકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર જેવા જરૂરી પુરાવા અને દસ્તાવેજોના આધારે ચકાસણી કરીને સ્થળ પર જ ઓનલાઇન યુ-વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે. યુ-વિન કાર્ડ ધરાવનારા આ અસંગઠિત કામદારોને પણ અગાઉ લાભ મેળવતા આ ક્ષેત્રના કામદારોને મળે છે તેમજ મા અમૃતમ, અકસ્માત વીમા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓના લાભ મળી શકશે. એટલું જ નહિ આવા અસંગઠિત કામદારોનો ડેટા બેઇઝ આ નોંધણીથી સરળતાએ ઉપલબ્ધ થવાથી ભવિષ્યમાં તેમને લગતી ભાવિ યોજનાઓ બનાવવામાં પણ સુગમતા રહેશે.
બાંધકામ શ્રમયોગી ઓ માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાનો લાભ લેવા માટે પણ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની શ્રમયોગી કલ્યાણ ભાવનાથી નવી દિશા ખુલી છે. અત્યાર સુધી આ બોર્ડની 33 જિલ્લા કચેરીએ થતી નોંધણી હવે રાજ્યના શહેરો અને ગામડાઓમાં પથરાયેલા 21290 જેટલા કોમન સર્વિસ સેન્ટર પર ઘર આંગણે થઈ શકશે.આવા સર્વિસ સેન્ટર દ્વારા શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. રાજ્યમાં વધુને વધુ બાંધકામ શ્રમિકોને યોજનાકીય લાભ આપવા અને શ્રમયોગી ઓની ગ્રામ્ય સ્તરે પણ નોંધણી થઇ શકે તેવા શ્રમયોગી કલ્યાણ ભાવ સાથે વિજયભાઈ રૂપાણીએ ઈ- નિર્માણ પોર્ટલનું અને મોબાઈલ એપનું લોંચીંગ કર્યું હતું.આ પોર્ટલ અને મોબાઈલ એપ યુઝર ફ્રેન્ડલી અને શ્રમિકો ને સરળ સમજ આપતી એપ બનાવવામાં આવેલી છે.આના પરિણામે હવે શ્રમયોગીઓ નો ડેટાનું રિયલ ટાઇમ મોનીટરીંગ થઈ શકશે.આ ઇ-નિર્માણ પોર્ટલનું જોડાણ સી.એમ ડેશ બોર્ડ સાથે પણ કરવામાં આવેલું છે. રાજ્યમાં અસંગઠિત કામદારોમાં ઘરેલું કામ કરતા શ્રમયોગીઓ તથા મહિને રૂ ૧૦ હજારથી ઓછી આવક ધરાવતાં સ્વરોજગાર મેળવતા અને વેતન મેળવતા શ્રમયોગીઓનો સમાવેશ થાય છે. આ લોન્ચિંગ અવસરે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડ તથા કોમન સર્વિસ સેન્ટર વચ્ચે તેમજ શ્રમ નિયામક અને કોમન સર્વિસ સેન્ટરના સી.ઈ.ઓ. વચ્ચે આ ઓન લાઈન નોંધણી માં સહયોગ અંગેના એમ.ઓ.યુ.નું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું. શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને શ્રમ નિયામક આલોક પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ અવસરે ગાંધીનગરમાં તેમજ જિલ્લા મથકોએ ઉપસ્થિત રહ્યા હતા.
