ગુજરાત રાજ્યના ભાવનગર અને કચ્છમાં વરસાદી માહોલ
Live TV
-
ગુજરાત રાજ્યમાં જુન મહિનાના પ્રથમ પખવાડિયામાં "વાયુ" વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ સમગ્રરાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ખેચાઈ જતાં અષાઢી બીજના મુહૂર્તમાં વાવણી કરનાર ખેડૂત ચિંતાતુર બન્યો છે, ત્યારે ગઈકાલે ભાવનગરના ગારિયાધાર તાલુકાના પરવડી ગામે વરસાદ થયો હતો. જ્યારે કચ્છના અંજાર અને ગાંધીધામમાં વાતાવરણમાં પલટો આવી વરસાદ થતાં ગરમીથી થોડી રાહત મળી હતી.
ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં પરોઠીએ જોરદાર વરસાદી ઝાપટુ પડ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. જ્યારે અમરેલી શહેર અને આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. જૂનાગઢમાં પણ આજે એકાએક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ શરૂ થયો છે. વડોદરા તેમજ આણંદના પટ્ટામાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન તાપીના નિજર અને સુરત સીટીમાં 83 મીમી, સોનગઢ અને ઉચ્ચછલમાં 65 મીમી, જામજોધપુર 55 મીમી, ભાવનગર 50 મીમી, અંકલેશ્વરમાં 39, માળિયા-મિયાણામાં 35 જ્યારે વિસાવદરમાં 32 મીમી વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લામાં ઠેરઠેર વરસાદી ઝાપટાં બાદ આજે સવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ક્વાંટ પંથકમાં બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો સુરતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મોડી રાતથી ગાજવીજ સાથે થયેલ વરસાદ સવાર સુધી વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, તો અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદે રી-એન્ટ્રી કરતા ધરતીપૂત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં વધારો થયો છે. 12 કલાકમાં ડેમની સપાટી 121.47 મીટર ઉપર પહોંચી છે. ગઈકાલે રાત્રે ઉપરવાસમાંથી 32 હજાર 910 ક્યુસેક પાણીની આવક થઈ હતી અને હાલ 44 હજાર 992 ક્યુસેક પાણીની આવક થઈ છે.
