જામનગરના મુખ્યમંત્રી LIG-2 આવાસમાં ગેરકાયદે રહેતાં ભાડુઆતોના મકાન મનપાએ ખાલી કરાવ્યા
Live TV
-
વર્ષ ૨૦૧૬માં સત્યમ કોલોની મુખ્યમંત્રી આવાસ યોજના એલઆઈજી-૨ના ફલેટ ભાડે આપી ફલેટ ધારકો કમાણી કરી રહ્યાં હોવાની ચોંકાવનારી બાબત બહાર આવતાં મહાનગર પાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો
જામનગર શહેરના રોઝી પંપની સામે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના ‘ એલઆઈજી-૨’ સત્યમ કોલોનીમાં લાંબા સમયથી ફલેટ હૉલ્ડરોએ ફ્લેટ ભાડે આપી દઈ કમાણી કરવાનું શરૂ કર્યું હોવાનું બહાર આવતાં આખરે જામનગર મહાનગર પાલિકાએ આકરું પગલું ઉઠાવી એક સાથે નવ ફલેટ સીલ કરી કબજો સંભાળી લેતાં આવાસ યોજનામાં ફલેટ ભાડે આપતાં તત્ત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
વર્ષ ૨૦૧૬માં સત્યમ કોલોની મુખ્યમંત્રી આવાસ યોજના એલઆઈજી-૨ના ફલેટ ભાડે આપી ફલેટ ધારકો કમાણી કરી રહ્યાં હોવાની ચોંકાવનારી બાબત બહાર આવતાં મહાનગર પાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૪૬ ફ્લેટ ભાડે આપી દેવામાં આવ્યા હોવાનું ખૂલ્યું હતું, જેને પગલે જામ્યુકોએ જે તે સમયે નોટિસ ફટકારી હતી. દરમિયાન જામનગર મહાનગર પાલિકા દ્વારા સત્યમ આવાસ કોલોનીના ફલેટ ધારકોને નોટિસ આપ્યા ને ૩ વર્ષ જેટલો સમય વિત્યા બાદ પણ ‘ હમ નહીં સુધરેંગે’ જેવા ઘાટ વચ્ચે ફલેટ ભાડે આપવાનું ચાલુ રાખવામાં આવતાં. મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ અને આવાસ યોજનાના અધિકારીઓનો કાફલો આજે સત્યમ કોલોની દોડી ગયો હતો.
જે ફલેટ ભાડે આપવામાં આવ્યા હતાં તે તાકિદે ખાલી કરાવી ફલેટનો કબજો સંભાળી લીધો હતો. જામ્યુકોની નોટિસને પગલે ૪૬ પૈકી ૯ ફલેટમાં હજુ પણ ભાડુઆત રહેતાં હોવાનું સામે આવ્યું હતું અને આજની આ કાર્યવાહી દરમિયાન જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા નવેય ફ્લેટનો કબજો સંભાળી લેવામાં આવ્યો હતો. સત્યમ કોલોનીમાં ચાલતાં ભાડા કૌભાંડને ઝડપી લેવામાં અને કબજે લેવાની કાર્યવાહીમાં આવાસ યોજનાના અધિકારીની ટીમે સપાટો બોલાવતાં આવાસ યોજનામાં રીતસરનો સોંપો પડી ગયો હતો.
