તાઉતે વાવાઝોડામાં નુકસાન પામેલા ઝૂંપડાઓ, મકાનોની સહાય અંગે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
Live TV
-
સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂપિયા 95 હજારની સહાય તો ઝૂંપડાઓ માટે રૂપિયા 10 હજારની સહાય જાહેર કરાઈ ; જિલ્લા તંત્રને મકાનોના સર્વેની કામગીરી હાથ ધરવા આદેશ અપાયો
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉ’તે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય પર આવેલા તાઉ’તે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સર્વેમાં લઈ સર્વે કામગીરી વેગવંતી બનાવવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે આ તાઉ’તે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને મકાનોને થયેલા નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
- તાઉ’તે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂપિયા 95,100 ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
- અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા-નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ હોય તેવા મકાનો માટે રૂપિયા 25,000 ની સહાય આપવામાં આવશે.
- વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે, તે ઝૂંપડાઓ માટે રૂપિયા 10,000 ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા, ગમાણ કે વાડાને થયેલા નુકસાન માટે રૂપિયા 5000 ની સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવશ્રીઓ પંકજ કુમાર, એ. કે. રાકેશ, એમ. કે. દાસ તેમજ અગ્રસચિવશ્રી ડૉ. જયંતી રવિ અને વરિષ્ઠ સચિવશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
