GTU ની બાયો સેફ્ટી લેબ દ્વારા કોવિડ-19 સંદર્ભે કરવામાં આવેલ સર્વેમાં સામે આવ્યાં રસપ્રદ તારણો
Live TV
-
સંક્રમીત થયેલા 86.6% લોકોએ વેક્સિન મેળવેલ હોવાથી ફક્ત સામાન્ય લક્ષણો જ જોવા મળ્યા, જે એક સપ્તાહથી પણ ઓછા સમયમાં નેગેટિવ આવ્યા
સમગ્ર વિશ્વ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી કોરોના મહામારીને કારણે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની બાયો સેફ્ટી લેબોરેટરીને કોવિડ-19 માટે RTPCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જીટીયુ દ્વારા તારીખ 15 ફેબ્રુઆરી થી લઈને 15 મે સુધીના 3 મહિનાના સમયગાળામાં કુલ 2368 RTPCR ટેસ્ટનું યોગ્ય નિદાન કરેલ છે. જેમાં 1409 પુરુષ, 959 સ્ત્રીઓ હતી. જેમાંથી 1127 રિપોર્ટ પોઝેટીવ આવ્યાં હતાં. જીટીયુની આ બાયો સેફ્ટી લેબ દ્વારા છેલ્લા 3 મહિનાનો ડેટા આધારિત સર્વે કરવામાં આવ્યો છે. જેમાં વય, બ્લડ ગ્રુપ, રિકવરી રેટનું સ્ત્રી અને પુરુષમાં પ્રમાણ તેમજ વેક્સિન મેળવેલ છે કે નહીં જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સંક્રમીત થયેલા 86.6% લોકોએ વેક્સિન મેળવેલ હોવાથી તામનામાં માત્ર સામાન્ય લક્ષણો જ જોવા મળ્યા હતાં, અને આશરે એક સપ્તાહથી પણ ઓછા સમયમાં તેઓ નેગેટિવ આવ્યા હતાં. જેથી જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન.ખેરે લોકોને વહેલામાં વહેલી તકે લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી.
જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટરના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, બાયો ટેક લેબ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે સર્વે માટે કોવીડ ટેસ્ટ કરાવવા આવતાં દરેક વ્યક્તિનો ડેટા સંગ્રહિત કર્યો હતો. વિવિધ મુદ્દાઓને સાંકળીને છેલ્લા 3 મહિનાના સમયગાળાનો સર્વે કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વાત એ સામે આવી છે કે, 94.74% લોકો હોમ આઈશોલેશનથી સ્વસ્થ થયાં છે. સૌથી વધુ પોઝીટીવ કેસ 21 થી 40 વયજૂથમાં 44.99% જોવા મળ્યાં હતાં. જ્યારે 41 થી 60 વયજૂથમાં 31.14% સંક્રમણનું પ્રમાણ જોવા મળતાં દર્શાવે છે કે, કોરોનાની આ બીજી વેવમાં યુવાનો વધુ પ્રમાણમાં સપડાયાં છે. દસ વર્ષથી ઓછી અને 11 થી 20 વર્ષની વયજૂથમાં જોવા જઈએ તો, અનુક્રમે 2.31% અને 10.65% તેમજ 60 વર્ષથી વધુની વયજૂથમાં 10.91% લોકો પોઝિટિવ આવ્યાં હતાં.
20માર્ચ પછી અનુક્રમે પોઝેટીવ કેસના દરમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. એપ્રિલના પ્રથમ 2 સપ્તાહ પછી 60% થી પણ વઘુનો ઉછાળો જોવા મળ્યો હતો, જે તાજેતરમાં 10% જેટલે પહોંચી ગયો છે. એટલે કે, 50% જેટલો ઘટાડો નોંધાયો છે. મૃત્યુદર પણ 0.71% રહ્યો છે. કુલ પોઝીટીવ ટેસ્ટમાંથી 8 દર્દીના મૃત્યુ થયેલ છે. જ્યારે બાકીના 99.29% દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 5.26% લોકોને વધુ અસરને ધ્યાનમાં રાખીને દવાખાને દાખલ થવાની ફરજ પડી હતી.
લિંગ આધારિત રેશિયો જોવા જઈએ તો, પુરૂષમાં 56.43% અને સ્ત્રીમાં 43.57% પોઝીટીવ કેસ નોંધાયા હતાં. O+ બ્લડ ગ્રુપ ધરાવતાં લોકો સૌથી વધુ 40.34% સંક્રમિત થયા હતાં. જ્યારે સૌથી ઓછો સંક્રમિત 0.46% સાથે AB- બ્લડ ગ્રુપ ધરાવતાં લોકો જોવા મળ્યાં હતાં. જ્યારે અન્ય બ્લડ ગ્રુપ જેવા કે, O- 0.92%, A+ 19.63%, A-0.61%, B+ 33.28%, B-1.53%, AB+ 8.59 % પોઝિટિવ ટકાવારીનું પ્રમાણ જોવા મળ્યું હતું. સરકાર દ્વારા પણ સમગ્ર દેશમાં વેક્સિનેશન માટે મોટા પ્રમાણમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે વેક્સિન મેળવેલા 86.6% લોકોને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યાં હતાં. વેક્સિન મેળવેલ હોવાથી 53.33% લોકો કોરોના પોઝેટીવ થતાં બચ્યા હતાં. સર્વેમાં જોવા મળ્યાં અનુસાર, 94.74% લોકો ઘરે રહીને જ ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ યોગ્ય સારવાર લઈને સ્વસ્થ થયા છે.
