તાઉ તે વાવાઝોડાથી ખોરવાયેલ વીજ પુરવઠો યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરાશે- ઊર્જા મંત્રી
Live TV
-
રાજ્યમાં તાઉ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલ વીજ વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે, જેની કામગીરી ચાલુ છે તેવું ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું
તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તરોમાં વાવાઝોડાના લીધે ઘણા વીજ પોલ ધરાશાયી થતા તે વિસ્તારોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જે અંગે વાત કરતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે વાત કરતા જણાવ્યા હતું કે, રાજ્યમાં તાઉ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલ વીજ વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તાઉ તે વાવાઝોડાના કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને રાજય સરકાર ખાનગી કંપનીઓના સહયોગથી ઝડપથી પૂર્વવત કરશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 220 કે.વી. સાવરકુંડલા – ધોકડવા લાઇન અને 220 કે.વી. ટીંબડી – ધોકડવા લાઇનમાં તાઉ તે વાવાઝોડું ત્રાટકવાને પરિણામે ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી 66 કે.વી. લાઇનો તથા ધોકડવાને વીજ પુરવઠો પૂરો પાડતી બંને 220 કે.વી. લાઇનોમાં ખૂબ નુકસાન થયું છે. આ બંને લાઇનોના કુલ 23 ટાવરો જમીનદોસ્ત થયા હતા. આ લાઇનોનું પુનઃ સ્થાપન ઘણો લાંબો સમય માંગી લેતી પ્રક્રિયા છે. કેન્દ્ર સરકારની મદદથી અને પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયાના સહયોગથી ‘ઇમરજન્સી રીસ્ટોરેશન સિસ્ટમ’ તથા પ્રણાલીગત પદ્ધતિથી યુદ્ધના ધોરણે આ લાઇનોને ખૂબ જ ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
