ભાવનગર: મુખ્યમંત્રીએ વાવાઝોડાથી થયેલા નુકશાનનો તાગ મેળવી મહુવામાં સમીક્ષા બેઠક યોજી
Live TV
-
મુખ્યમંત્રીએ આજે તાઉ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા ભાવનગર જિલ્લાના મહુવાની મુલાકાત લઇ વાવાઝોડાથી થયેલી નુકશાનીનો તાગ મેળવી જિલ્લા અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી મેળવવા અને ગ્રામીણ નાગરિકોની વિપદામાં સહભાગી થવા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સ્થિત પઢિયારકા ગામે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીએ મહુવાના પઢિયારકા ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો ક્યાસ કાઢવા ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગામના સરપંચ તેમજ ગ્રામજનો પાસેથી આ વાવાઝોડાએ સર્જેલી તારાજીની આપવિતી સાંભળીને આ વિપદામાં રાજ્ય સરકાર ગ્રામજનોની પડખે હોવાનો સધિયારો આપતા, ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકશાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમાનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
તાઉ’ તે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રીએ મહુવા પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવ્યા બાદ જણાવ્યું હતું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા મહુવા સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
આ સિવાય મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોચી છે, તે તત્કાલ નિવારીને આ પુરવઠો સમયમર્યાદામાં પૂર્વવત કરી દેવા સુચનાઓ આપી હતી.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના સંદર્ભમાં ખેતી, બાગાયતી પાકોને થયેલા નુકસાનનો હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેના આધારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ગરીબ વર્ગ સહિતના લોકોના મકાનોને થયેલા નુકશાનનો સર્વે હકારાત્મક વલણ સાથે કરવા તેમજ મહુવા નગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક સાફ સફાઇ કરવા, રોડ પર વૃક્ષો પડવાથી ઊભી થયેલી આડશ દૂર કરવા તેમજ અન્ય રિસ્ટોરેશન કામગીરી માટે વધારાનો મેન પાવર અન્ય તાલુકા-જિલ્લામાંથી બોલાવી કામગીરી હાથ ધરવા જણાવ્યું છે.
