Skip to main content
Settings Settings for Dark

રાજકોટ: મુખ્યમંત્રી રૂપાણીએ વિવિધ વિકાસકામોનાં કર્યા ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત

Live TV

X
  • રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યનાં નાગરિકોની મકાન, પાણી, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, વાહન વ્યવહાર, શિક્ષણ વગેરે જેવી તમામ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકાર સદા સંકલ્પબદ્ધ છે. રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે રાજ્યસરકાર સંપૂર્ણ સજ્જ અને સજાગ છે. તથા પ્રતિદિન 3 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, જેમાં નાગરિકોના સહકારની મુખ્યમંત્રીએ કામના સેવી હતી. રાજ્યસરકારે કોરોના અટકાયત કામગીરી સાથે સમાંતર રીતે વિકાસ કામોની ગતિ પણ અવિરતપણે ચાલુ રાખી છે. મુખ્યમંત્રીએ સગૌરવ ઉમેર્યું હતું કે કોરોનાના છેલ્લા દોઢ વર્ષના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે અંદાજે 30 હજાર કરોડથી વધુ રકમના વિકાસ કામો રાજ્યની જનતાને સમર્પિત કર્યા છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાનો બીજો વેવ લગભગ નિયંત્રિત થઈ ગયો છે અને કેસોમાં ઘટાડો આવી રહ્યો છે ત્યારે લોકોએ પણ આગળ આવીને વેક્સિનેશન અવશ્ય કરાવવું જ જોઈએ. આજે પ્રારંભ થયેલા વિવિધ વિકાસ કામોની ભૂમિકા વિશે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા પાંચ રાજ્યો પૈકી ગુજરાત એક માત્ર રાજ્ય એવું છે જેણે આ પ્રોજેક્ટને નિયત સમયગાળામાં કાર્યરત કરવા માટે ખૂબ મહેનત કરી છે. જેના પરિણામ સ્વરૂપે આજે આપણે લોકોને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અન્વયે બનાવાયેલા મકાનો સોંપી શક્યા છીએ. આ બદલ મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અભિનંદન આપ્યા હતા.
     
    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી્એ આજે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રૂ.232.50 કરોડના વિવિધ પ્રોજેક્ટસનું ઈ-લોકાર્પણ કર્યું હતું જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.118 કરોડના ખર્ચે બનેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટના આવાસ યોજનાનો ઈ ડ્રો, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂપિયા 67.63 કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઈ ડ્રો, રૂ.37.69 કરોડના ખર્ચે જુદા જુદા વૉર્ડમાં થનારા વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત અને રૂ.9.18 કરોડના ખર્ચે રૂડા વિસ્તારમાં થનારા વિકાસકામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.

    મેયર ડો. પ્રદીપ ડવે પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યાન્વિત કરાઇ રહેલા વિવિધ વિકાસકામોની આછેરી ઝલક રજૂ કરી હતી. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલના સ્વાગત પ્રવચન બાદ આમંત્રિતોનું પુસ્તકથી સ્વાગત કરાયું હતું. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આજે આરભ થનારા વિવિધ વિકાસકામોની આંકડાકીય રૂપરેખા પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા અને અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રૂડાના સી.ઈ.ઓ. ચેતનભાઈ ગણાત્રા, કોર્પોરેટરો,  રાજકોટ આપણું મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply