રાજ્યમાં આજથી શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને અદાલતોની કામગીરી થશે શરૂ
Live TV
-
રાજ્યમાં આજથી રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્ય સરકારની કચેરીઓ તથા અદાલતોમાં ચોક્કસ નિયમોના આધારે કામગીરી શરૂ થશે. રાજ્યની સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી નવા સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. ઉનાળું વેકેશન પુરુ થયા બાદ સોમવારથી શાળાઓ ખુલી જશે. શાળાઓમાં શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓએ આજથી 100 ટકા હાજરી સાથે આવવાનું રહેશે. આજથી તમામ શાળાઓમાં ધોરણ 1 થી 9 ની પ્રવેશ કામગીરીનો પણ પ્રારંભ થશે.
રાજ્યની વડી અદાલતની કામગીરી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જ્યારે નીચલી બધી જ અદાલતોમાં પ્રત્યક્ષ હાજરી સાથે કામગીરી આજથી શરૂ થશે. અદાલતના પરિપત્ર મુજબ રાજ્યમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયની બધી જ નીચલી અદાલતોમાં આજે સવાર 10:45 થી સાંજના 6 વાગ્યા સુધી કામકાજ થશે. માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલી અદાલતો વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યરત રહેશે. જોકે તમામ અદાલતોમાં પ્રવેશ શક્ય હોય ત્યાં સુધી એક જ દ્વારથી આપવાનો રહેશે.
આ ઉપરાંત આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે. અમદાવાદ શહેરમાં આજથી AMTS અને BRTS બસ સેવા શરૂ થઇ છે. શહેરના બધા જ ટર્મિનસ ઉપર થર્મલ ગનથી મુસાફરોના ટેમ્પરેચરની ચકાસણી થશે તથા બસમાં 50 ટકાની ક્ષમતાથી મુસાફરોને બેસવા દેવાશે.
