રાજ્યમાં 28 જીલ્લાના 121 તાલુકાઓમાં ભારેથી હળવો વરસાદ નોંધાયો
Live TV
-
સમગ્ર રાજ્યમાં ગુરુવારે 28 જીલ્લાના 121 તાલુકાઓમાં ભારેથી હળવો વરસાદ નોંધાયો છે. રાજ્ય પૂર નિયંત્રણ કક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર રાજ્યમાં સરેરાશ 11 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવી તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે રાજ્યના 42 તાલુકા એવા પણ છે જ્યાં વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં 150 તાલુકાઓમાં શૂન્યથી લઇને પચાસ મિલિમીટર સુધીમાં 48 તાલુકાઓમાં બે થી પાંચ ઇંચ સુધી અને 11 તાલુકાઓમાં પાંચ થી દશ ઇંચ સુધીની મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ નવસારીમાં પડ્યો હતો. નવસારી જીલ્લાનાં ગણદેવી તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નવસારી અને જલાલપોર તાલુકમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેરગામ તાલુકામાં 2 ઈંચ જ્યારે ચીખલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. નવસારી જીલ્લામાં સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આજે સવારથી અન્ય કેટલાંક જીલ્લાઓમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં અંબાજી, કચ્છ, મહેસાણા, જુનાગઢ , જામનગર, રાજકોટ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. ત્યારે હજુ આગામી બે થી ત્રણ દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં સામાન્ય થી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે એસડીઆરએફની ટીમને દક્ષિણ ગુજરાતમાં માટે રવાના કરી દેવામાં આવી છે.
