વડતાલ ધામ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું ઇ-લોકાર્પણ
Live TV
-
નિ:શુલ્ક સારવાર આપતી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડા જિલ્લાના સ્વામિનારાયણ યાત્રાધામ વડતાલ ખાતે આવેલી સ્વામિનારાયણ મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 50 બેડ માટેના નવા ઓક્સિજન પ્લાન્ટનું ઈ- લોકાર્પણ કર્યું. નિ:શુલ્ક સારવાર આપતી આ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખી, નવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. વડતાલ જ્ઞાનબાગ નિવાસી પાર્ષદ કાનજી ભગતની પ્રેરણાથી તેમજ સ્વામિનારાયણ ભગવાન કલા-કેન્દ્ર ટ્રસ્ટ અને ઈન્ડો-અમેરિકન સોસાયટી સ્ક્રેન્ટન - અમેરિકાના સૌજન્યથી આ સેવા પ્રાપ્ત થઈ છે.
આ ઇ- લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓક્સિજનના આવા 300 પ્લાન્ટ્સ નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ખેડા અને આણંદ જિલ્લાના લોકોને રસી લેવા પણ અપીલ કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ 50 બેડનો વધુ એક ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવા આહ્વાન કર્યું હતું, જેને વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના આહ્વાન બાદ સાંસદ દેવુસિંહ ચૌહાણે તેમની ગ્રાન્ટમાંથી સંપૂર્ણ સુવિધાયુક્ત વેન્ટિલેટર સાથેની એમ્બ્યુલન્સ વાન આપવાની તેમજ વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ પોતાની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
