51 અછતગ્રસ્ત તાલુકા સિવાયના 45 અન્ય તાલુકાને મદદઃ Dy.CM નીતિન પટેલ
Live TV
-
રાજ્યના અછતગ્રસ્ત તાલુકાઓને કઈ રીતે મદદ પૂરી પાડવામા આવે તે અંગે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ અને મહેસૂલ પ્રધાનની હાજરીમાં બેઠક યોજવામા આવી હતી. જેમાં રાજ્ય સરકારે મહત્વના મુદ્દાઓ પર વિચારણા કરી હતી. આજે આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જાહેરાત કરી છે.
રાજ્યમાં 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમને 1લી ડિસેમ્બરથી સહાય આપવામાં આવશે. જો કે ખેડૂતોને માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી સરકારે અન્ય તાલુકાઓને પણ મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને કઈ રીતે મદદ કરી શકાય અને તેનો લક્ષ્યાંક નક્કી કરવા માટે બે કલાક ચાલેલી મીટિંગના અંતે 51 અછતગ્રસ્ત તાલુકા સિવાયના અન્ય તાલુકા પસંદ કરવામાં આવ્યા છે, જેમને સહાય આપવામા આવશે.
નીતિનભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે, 250 મિલીમીટરથી વધુ અને 400 મિમીથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા તાલુકાઓની ખાસ પસંદગી કરવામાં આવી છે, કે જ્યાં વરસાદના પગલે વાવેતર નિષ્ફળ ગયું હોય તેવા તાલુકાઓમાં રાજ્ય સરકારના ફંડમાથી સહાય આપવામાં આવશે.
નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારે એવા 45 નવા તાલુકાની પસંદગી કરી છે, જેમને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સહાય આપવામાં આવશે. આ સહાય અંતર્ગત ખાતેદાર ખેડૂતોને તેમના ખાતામાં આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય 1 હેક્ટર દીઠ પ્રમાણે અપાશે. જે નીચે પ્રમાણે છે.
1) 300 મિમિથી ઓછો વરસાદ થયો હોય તેવા 14 તાલુકા પસંદ કરાયાં છે, જેના ખાતેદાર ખેડૂતોને 6300 રૂપિયાની મદદ આપવામાં આવશે.
2) 300 મિમિથી વધુ અને 350 મિમિથી ઓછો વરસાદ થયો હોય તેવા 12 તાલુકામાં ખેડૂતોને રૂપિયા 5800ની સહાય અપાશે.
3) 350મિમિથી વધુ અને 400 મિમિથી ઓછો વરસાદ હોય એવા 19 તાલુકામાં ખેડૂતોને 5300 રૂપિયાની સહાય અપાશે.
