આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લવાશે
Live TV
-
આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આજે એક પ્રસ્તાવ લાવવામાં આવશે. જૈશ એ મોહમ્મદે જ પુલવામાં હુમલાની જવાબદારી લીધી હતી. તે પછી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે અમેરિકા બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્રસુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આજે યુએનએસસીની દરખાસ્ત નંબર એક હજાર બસો સડસઠ દ્વારા આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની આશા છે. બરાબર આ સમયે અમેરિકા તરફથી ભારત માટે રાહતના અહેવાલ આવ્યા છે. મસૂદ અઝહરને વૈશ્વિક આંતકી જાહેર કરવાના ભારતના પ્રયાસોને અમેરિકાનું સમર્થન પ્રાપ્ત થયું છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા રોબર્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા અને ચીન એ બાબતે સહમત છે કે ભારતીય ઉપ મહાદ્વિપમાં શાંતિ સ્થાપિત થવી જોઈએ. જો જૈશ એ મોહમ્મદ પર પ્રતિબંધ નહીં લાગે તો શાંતિનું મિશન નિષ્ફળ બની જશે.આ ગતિવિધિ વચ્ચે અમેરિકાએ કહ્યું છે કે વૈશ્વિક શાંતિ જાળવી રાખવાના પ્રયત્નો હેઠળ ચીને વૈશ્વિક સમુદાયનો સાથ આપવો જોઈએ. જો કે અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ આશંકા દર્શાવી છે કેચીન જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીઓની યાદીમાં સામેલ કરવાના પ્રયાસોમાં રોડાં નાખી શકે છે.