આજથી નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજના લાગુ, 81 કરોડથી વધુ લાભાર્થીઓને મફત અનાજ મળશે
Live TV
-
સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ અંતર્ગત પોર્ટેબિલીટીનું સમાન અમલીકરણ સુનિશ્ચિત કરાશે.
કેન્દ્ર સરકાર આજથી નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજના લાગુ કરશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 81 કરોડથી વધુ લાભાર્થીઓને મફત અનાજ મળશે. કેન્દ્રિય મંત્રીમંડળના નિર્ણય મુજબ નવી યોજના અંતર્ગત સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ અંતર્ગત પોર્ટેબિલીટીનું સમાન અમલીકરણ સુનિશ્ચિત કરાશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત ખાદ્ય સુરક્ષા પર સમાનતા અને સ્પષ્ટતા લાવવાનું લક્ષ્ય છે. સમાજના ગરીબ અને નબળા વર્ગો પ્રત્યેની ચિંતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ માટે આ યોજનાને એક્સટેંશન આપ્યું હતું. જેની અમલવારી આજથી થવા જઈ રહી છે, આ યોજનાના કારણે કેન્દ્ર સરકારના બજેટને 2 લાખ કરોડ રૂપિયાથી વધારેનો બોજ પડશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશ્વના સૌથી મોટા ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ તરીકે એપ્રિલ 2020થી અમલીકરણ હેઠળ છે. પહેલાની જેમ ભારત સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
