આસામના 23 જિલ્લામાં પૂર, 9 લાખથી વધુ પ્રભાવિત
Live TV
-
બિહારમાં પણ ભારે વરસાદને કારણે મહાનંદા નદીનું જળસ્તર વધ્યું, કેન્દ્ર સરકારે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો શક્ય એટલી મદદનો ભરોસો
આસામમાં પૂરની સ્થિતિ હજી પણ ચિંતાજનક બની છે. રાજ્યના 23 જિલ્લામાં 2 હજારથી વધુ ગામના આશરે સવા નવ લાખ લોકો આ પુરના કારણે અસરગ્રસ્ત થયાં છે. અરૂણાચલ પ્રદેશ અને આસામના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યની લગભગ તમામ નદીઓ પોતાની ભયજનક સપાટીએ વહી રહી છે. ગત 24 કલાકમાં બારપેટા જિલ્લો પૂરના કારણે સૌથી વધુ પ્રભાવીત થયો છે. જ્યાં આશરે 1 લાખ 35 હજારથી વધુ લોકો પુરથી પ્રભાવીત થયાં છે. રાજ્યમાં પુર પ્રકોપથી વધુ બે વ્યક્તિના મોતથી રાજ્યમાં પુરના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. અસરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકારે વિવિધ પૂર પ્રભાવીત વિસ્તારોમાં 193 રાહત બચાવ શિબિરો કાર્યરત કરી છે.આશરે 27 હજાર લોકોને આ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને આરોગ્ય મંત્રી સાથે ટેલીફોનીક વાત કરી હતી. જેમાં તેમણે રાજ્યમાં પુર અને ભૂસ્ખલનની ઘટનાને લઈને માહિતી મેળવી હતી. ગૃહમંત્રીએ રાજ્યમાં પ્રભાવીત લોકોને રાહત પહોંચાડવા માટે રાજ્ય સરકારને દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે મોદી સરકાર પુરી રીતે આસામના લોકોની સાથે છે તેવો ટ્વિટ દ્વારા અમિત શાહે સંદેશ પણ આપ્યો હતો. આ તરફ સિક્કિમમાં થઈ રહેલાં સતત વરસાદના પગલે સમગ્ર ઉત્તર સિક્કિમ પ્રભાવીત થયું છે. ભૂસ્ખલનની વધતી ઘટનાઓને લઈને અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. તો મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થવાને પગલે કેટલીક જગ્યાઓ પર હાઈવે બંધ થઈ ગયાં હતાં. તો બિહારની મહાનંદા નદીમાં પણ પુરના કારણે કેટલાંક જિલ્લાઓ પ્રભાવીત થયાં છે. જેને લઈને પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને બિહારની જનતાની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર તરફ દરેક શક્ય મદદની ખાતરી આપી હતી. નોંધનીય છે કે, હવામાન વિભાગે હજી પણ આગામી બે દિવસોમાં પૂર્વોત્તર અને બિહારના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
