આસામ, બિહારમાં પૂરનો પ્રકોપ યથાવત્; આસામમાં 3 હજારથી વધુ ગામો પૂરમાં ડૂબ્યા
Live TV
-
આસામ અને બિહારમાં પુરનો પ્રકોપ યથાવત છે. જો કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ ઘટશે. જો કે, દક્ષિણ-પશ્ચિમ બિહારમાં વીજળી અને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ગંડક નદીના જળસ્તરમાં વધારો થતાં બિહારના અનેક જિલ્લાઓમાં પુરની પરિસ્થતિ પેદા થઈ છે. પુરના પાણી ફરી વળવાના કારણે દિયારા જિલ્લાની હાલત સૌથી વધુ ખરાબ થઈ છે. જેના કારણે જનજીવનને માઠી અસર પડી છે. આ તરફ આસામમાં પણ સતત પડી રહેલા વરસાદને પગલે સર્જાયેલી પુરની પરિસ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યના 26 જિલ્લાના 3 હજાર 376 ગામ જળબંબાકારની સ્થિતિમાં છે. છેલ્લાં 24 કલાકમાં પુરના પાણી અન્ય વિસ્તારોમાં ઘુસતા રાજ્યમાં 36 લાખ લોકોથી વધારે અસરગ્રસ્ત થયાં છે.બારપેટા જિલ્લો રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે.જ્યાં આશરે સાડા પાંચ લાખ લોકો પુરના પાણીના કારણે અસરગ્રસ્ત થયાં છે. રાજ્યમાં પુરપ્રકોપનાં કારણે વધુ 7 લોકોનાં મોત થતાં મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે. રાજ્યની લગભગ તમામ નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે.જેના કારણે 1 લાખ 27 હજાર હેક્ટર વાવણી લાયક જમીનને પણ નુકસાન પહોંચ્યું છે. તો NDRF અને SDRF દ્વારા રાજ્યમાં પુરજોશમાં રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે..
