ઉત્તર ભારતમાં ખરાબ ભારે વરસાદના કારણે સતત ત્રીજા દિવસે પણ જનજીવન ઠપ્પ
Live TV
-
ઉત્તરાખંડના દહેરાદુન, ઉત્તરકાશી, હરિદ્વાર અને ટહેરી જીલ્લાઓમાં આજે સવારથી ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઉત્તરાખંડમાં ઘણા સ્થળોએ મુશળધાર વરસાદ થવાની સંભાવના દર્શાવી હોવાથી NDRF, SDRF અને પોલીસના જવાનોને સતર્ક રહેવાની સૂચના અપાઇ છે. પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદના પગલે 100થી વધુ માર્ગ પરનો વાહનવ્યવહાર રોકવામાં આવ્યો છે. ઋષિકેશ થી બદ્રીનાથ, રૂદ્રપ્રયાગ થી ગૌરીકુંડ તથા કુંડ થી ગોપેશ્વર સુધીના માર્ગો બંધ કરવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદના પગલે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 828 માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. એવી જ રીતે છ હજાર 86 ટ્રાન્સફોર્મર અને 785 પાણી યોજનાઓ પણ બંધ રખાઇ છે જેના કારણે પાટનગર સિમલા સહિત રાજયમાં ઘણી જગ્યાએ પીવાના પાણીની તંગી અનુભવાઇ રહી છે.હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના પગલે પંજાબની નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં સેના, NDRF અને SDRFના જવાનો રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગઇકાલે મોડી રાત્રે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગાની પાસે ભેખડો ધસી પડતાં ચાર તીર્થયાત્રીઓનાં મોત થયાં અને સાત વ્યક્તિઓ ઘાયલ થઇ છે, બધાં મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હતા. ભારે વરસાદના કારણે ભેખડ ધસી પડતાં એક મહિલા સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બે મુસાફરોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અન્ય સુરક્ષિત મુસાફરોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે. સ્થાનિક લોકો, આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવકો, પોલીસ, SDRF અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે ગઇકાલે વાતચીત કરીને વરસાદને લીધે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી.
