કેરળ: એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન રન-વે પર લપસ્યું, દુર્ઘટનામાં પાયલટ અને કો-પાઈલટ સહિત 18 લોકોનાં મોત થયાં
Live TV
-
કેરળના કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાન ગમખ્વાર દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસનું બોઈંગ- 737 વિમાન કોઝિકોડ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી સમયે રન-વે પર લપસી ગયું હતું અને 35 ફુટ ઉંડી ખીણમાં ખાબક્યું હતું અને ત્યાર બાદ વિમાનના બે ટૂકડા થઈ ગયાં હતાં. ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યે અને 40 મિનિટ પર આ દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં પાયલટ અને કો-પાઈલટ સહિત 18 લોકોનાં મોત થયાં છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને કોઝિકોડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.વિમાનમાં કુલ 190 લોકો સવાર હતાં.યાત્રીઓ અને વિમાનના સભ્યોને દરેક શક્ય તમામ મદદ પહોંચાડવા માટે ઈમરજન્સી રિસપોન્સ ટીમ સહિત સ્પેશિયલ ટીમને કોચ્ચિ, મુંબઈ, અને દિલ્હીથી બોલાવવામાં આવી છે..આ ઉપરાંત યાત્રીઓ અને પરિવારના સદસ્યો માટે મુંબઈ અને દિલ્હીથી વિશેષ ઉડાનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મલ્લપુરમના જિલ્લા કલેક્ટર કે.ગોપાલ કૃષ્ણને બચાવ અભિયાન પૂર્ણ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.ભારતીય દુતાવાસે દુબઈ અને શારજાહ માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરન ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા માટે કોઝિકોડની મુલાકાતે પહોંચ્યાં હતાં.જ્યારે ડીજીસીએ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યાં છે. ઘટનાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ ટ્વિટ સંદેશ દ્વારા ઉંડો શોક વ્યક્ત કર્યો હતો અને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.આ ઉપરાંત આંતરારાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠને પણ દુર્ઘટના પ્રત્યે ટ્વિટ સંદેશ દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
