જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્વક થઈ બકરી ઈદની ઉજવણી
Live TV
-
ઈદ-ઉલ-અજહાની ઉજવણીમાં સ્થિતિ સામાન્ય, જમ્મુ-કાશ્મીરમાં રંગેચંગે થઈ ઉજવણી
જમ્મુ-કાશ્મીરમાં સોમવારે શાંતિપૂર્વક રીતે બકરી ઈદની ઉજવણી થઈ હતી. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લોકોએ મસ્જિદોમાં જઈને વિશેષ નમાજ અદા કરી હતી. હજારોની સંખ્યામાં લોકો પોતાના ઘરની બહાર નીકળ્યા હતાં. અમન, કુરબાની અને ભાઈચારાનો સંદેશ આપતા ઈદના તહેવારની ઉજવણી થઈ હતી. આ દરમિયાન રસ્તા પર કડક સુરક્ષા જોવા મળી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ આ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગમાં પરિસ્થિતિનું નીરિક્ષણ કરતાં જોવા મળ્યા હતાં.
કાશ્મીર ઘાટીમાં ઈદ-ઉલ-અજહાની ઉજવણીમાં બધુ સામાન્ય રહ્યું હતું. ઘાટી વિસ્તારમાં હાલત સામાન્ય રહ્યાં હતાં અને લોકોએ સૌહાર્દપૂર્ણ ઢંગથી તહેવાર પર અલગ-અલગ મસ્જિદોમાં નમાજ અદા કરી હતી.
શ્રીનગરની અલગ-અલગ મસ્જિદોમાં લોકોએ ઈદ-ઉલ-અજહાનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો. ઘાટીમાં અલગ-અલગ સ્થાન પર કોઈ જ હિંસા વગર શાંતિ સાથે ઈદની નમાજ અદા કરી હતી. હજારો લોકોએ ઈદની નમાજ અદા કરીને એકબીજાને ભેટી મુબારકબાદ આપી હતી.
શ્રીનગર ઉપરાંત કિશ્તવાડ, પુલવામા, અનંતનાગ, બારામૂલા સહિત ઘાટીના અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં સ્થાનીક લોકોએ ઈદ-ઉલ-અજહાના તહેવારની ઉજવણી કરી હતી. આ દરમિયાન કલમ-144માં ઢીલ આપવામાં આવી અને લોકો ઘરેથી બહાર નીકળીને મસ્જિદોમાં પહોંચ્યા હતાં. અનેક જગ્યાઓ પર જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ નમાજ પછી મીઠાઈની વહેંચણી કરી હતી અને ઈદની મુબારકબાદ આપી હતી.
કેન્દ્રિય ગૃહમંત્રાલય અનુસાર જમ્મુ-કાશ્મીરના લોકો નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતાં. બાંદીપોરામાં દાર ઉલ ઉલૂમ રહિમિયામાં 5000 અને જામિયા મસ્જિદમાં 2000, બારામુલામાં 10000, કુપવાડાની ઈદગાહ મસ્જિદમાં 3500, સોપોરમાં 1500, કુલગામના કાઝીકુંડમાં 5500, કેમૌહમાં 6000, શોપિયામાં 3000, પુલવામામાં 1800, અવંતીપોરામાં 2500, બડગામના ચરાર-એ-શરીફમાં 5000 અને મગામ 8000 લોકોએ નમાજ અદા કરી હતી. જમ્મુમાં ઈદગાહમાં પાંચ હજારથી વધારે લોકોએ નમાજ અદા કરી હતી.
રાજ્યના તમામ અન્ય ભાગમાં પણ ઈદ-ઉલ-અજહાની નમાજ શાંતિપૂર્વક રીતે સંપન્ન થઈ હતી. ડોડા અને રિયાસી જિલ્લામાં પણ મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવી. લેહમાં પણ ઈદ-ઉલ-અજહાનો તહેવાર શાંતિથી ઉજવવામાં આવ્યો હતો.