દિલ્હી કેન્ટમાં એનસીસીની પ્રજાસત્તાક દિવસ શિબિર-2023ની સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મુલાકાત લીધી
Live TV
-
દિલ્હી કેન્ટમાં એનસીસીની પ્રજાસત્તાક દિવસ શિબિર-2023 ચાલી રહી છે. એનસીસી શિબિરની દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મુલાકાત લીધી હતી. આ અવસરે એનસીસીમાં અદમ્ય સાહસ, શૌર્ય અને વીરતા દાખવનારા કેડેટ્સને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત એનસીસી કેડેટ્સ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને એનસીસી કેડેટ્સને સંબોધિત કરતાં જણાવ્યુ હતું કે, અહ્યાં મને દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા એનસીસી કેડેટ્સ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધાતામાં એકતાની ઝલક જોવા મળી છે. આ જ વિવિધતામાં એકતા એ આપણાં દેશની સૌથી મોટી તાકાત છે. સાથોસાથ એનસીસી કેડેટ્સના સંપૂર્ણ વ્યક્તિત્વમાં નિખાર લાવે છે. અહ્યાં શિખેલ એકતા અને અનુશાસન જીવનમાં સદૈવ કામ આવે છે. શિબિરમાં ભાગ લઈ રહેલા લગભગ 2,000 કેડેટ્સને પ્રેરણાદાયી સંબોધનમાં, રક્ષા મંત્રીએ તેમને નવા રસ્તાઓ ઓળખવા અને રાષ્ટ્રને ઝડપી ગતિએ વિકાસના માર્ગ પર આગળ વધારવા આહવાન કર્યું. જો કે, તેમણે તેમને દેશના વર્ષો જૂના મૂલ્યો અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવા અને તેમની પસંદગીના ક્ષેત્રમાં નમ્રતા સાથે કામ કરવા વિનંતી કરી.
બદલાતા સમય અનુસાર પોતાને ઘડવાની જરૂરિયાત પર ભાર મૂકતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ઝડપથી વિકસતા વૈશ્વિક સુરક્ષા પરિદ્રશ્યને કારણે ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે રાષ્ટ્રને સજ્જ કરવામાં સરકાર દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી.તેમણે કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય એક મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનો છે,
રક્ષા મંત્રીએ યુવાનોને 'યુઝ એન્ડ થ્રો'ની વિભાવનાને નાબૂદ કરવા માટે પણ આહવાન કર્યું હતું, આ પ્રથાને કારણે પ્રત્યક્ષ કે આડકતરી રીતે સમાજ અને પર્યાવરણને સૌથી વધુ નુકસાન થાય છે. પર્યાવરણના વિનાશનો અર્થ જીવનનો વિનાશ છે તેમ કહીને તેમણે યુવાનો અને સમગ્ર રાષ્ટ્રને શક્ય હોય ત્યાં સુધી સામાનનો પુનઃઉપયોગ કરવા અને પ્રકૃતિના સંરક્ષણ માટે કામ કરવા અપીલ કરી હતી. તેમણે યુવાનોને વડીલો, કુટુંબીજનો અને મિત્રોનો આદર કરવા વિનંતી કરીને 'યુઝ એન્ડ થ્રો' ખ્યાલને તેમના અંગત જીવનમાં પ્રવેશવા ન દેવા પ્રોત્સાહિત કર્યા.
રક્ષા મંત્રીએ કેડેટ્સ દ્વારા તૈયાર કરાયેલા ધ્વજ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી, જેમાં વિવિધ સામાજિક જાગૃતિની થીમ દર્શાવવામાં આવી હતી. ત્યાર બાદ, તેમણે 'હોલ ઓફ ફેમ'ની મુલાકાત લીધી, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ, મોડલ્સ અને છેલ્લા 75 વર્ષોમાં NCCની અન્ય સિદ્ધિઓનો પ્રભાવશાળી સંગ્રહ છે. આ પ્રસંગે સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે, ડીજી એનસીસી લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહ અને અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય અધિકારીઓ હાજર હતા.
